(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના શ્રી અજીતસિંહ ઠાકોર, શ્રી હરેશ પટેલ, નલિની પટેલ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં બીએલઓની કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે અને ગુણવતા યુક્ત શિક્ષણ મેળવે તે જરૂરી છે. શિક્ષણ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને શિક્ષણ સિવાયની અન્ય કોઈપણ કામગીરી આપવી જોઈએ જ નહીં. શિક્ષકોને શિક્ષણ સિવાયની વધારાની કામગીરીનો બોજો આપવાના કારણે ઘણા શિક્ષકો ટેન્શન, હતાશા અને નિરાશા અનુભવે છે, જેના લીધે વર્ગમાં શિક્ષણકાર્ય કરાવવામાં તેમને મુશ્કેલીઓ પડે છે. જેના કારણે વિદ્યાર્થીઓ ઉપર પૂરતું ધ્યાન આપી શકાતું નથી. આમ શિક્ષક, વિદ્યાર્થી અને શિક્ષણના ભોગે શિક્ષકો પાસેથી જે બહારની કામગીરી કરાવવામાં આવે છે. શિક્ષક પોતાના મુખ્ય શિક્ષણ કાર્યની ફરજની જવાબદારી નિષ્ઠાપૂર્વક અદા કરે છે જ. તેના પછી તેને વધારાની અલગથી કામગીરી આપવામાં આવે છે. લગભગ 80 થી 90 ટકા શિક્ષકોને બી.એલ.ઓ.ની કામગીરીમાં રોકવામાં આવ્યા છે, અને તેમની પાસેદબાણપૂર્વક કામ કરાવવામાં આવી રહ્યું છે. વધુ પડતી જવાબદારીઓથી શિક્ષકો માનસિક રીતે હતાશ અને નિરાશ થયા છે. તાજેતરમાં અધિકારીઓ દ્વારા શાળાની મુલાકાતો કરતાં શિક્ષણ બાબતે ઘણી ટીકાઓ થઈ છે અને શિક્ષકોને ઠપકો મળ્યો છે. જેથી શિક્ષકોને શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે રહેવા દો. વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં બીએલઓની કામગીરીમાંથી તમામ શિક્ષકોને મુક્તિ આપવામાં આવે. શિક્ષકોને રાઈટ ટુ એજ્યુકેશન મુજબ શિક્ષણ સિવાયની અન્ય બીએલઓ કામગીરીમાંથી મુક્તિ અપાવા વલસાડ જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા ચૂંટણી અધિકારી, જિલ્લા ચૂંટણી કચેરી વલસાડને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.