પાકિસ્તાની સમર્થિત હૂમલામાં દમણ-દીવના મૂળ નિવાસીઓ પણ ઘણાં ઘાયલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.20: યુ.કે.માં ભારતીય મૂળના વસેલા લોકો જેમાં દમણ-દીવના લોકોનો પણ સમાવેશ થાય છે, તેના ઉપર પાકિસ્તાનીઓ દ્વારા થઈ રહેલા અત્યાચારના વિરોધમાં ગુરૂવાર તા.22મી સપ્ટેમ્બરના રોજ મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્ડથી કલેક્ટરાલય સુધી મૌન રેલીનું આયોજન કરવામાંઆવ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે યુ.કે.ના ખાસ કરીને લેસ્ટરમાં ઘરના આંગણામાં સાથિયો, ભગવાનના ફોટા કે હિન્દુ સનાતન ધર્મના જયઘોષ સાથેના દેખાતા પ્રતિકોવાળા ઘર અને વાહનોને પાકિસ્તાનીઓ દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ શરૂ થયેલા ધિંગાણામાં દમણ-દીવ સહિતના ઘણાં હિન્દુઓ ઈજાગ્રસ્ત પણ બન્યા હોવાની માહિતી સાંપડી છે. તેથી આ ઘટનાને વખોડવા અને તાત્કાલિક ધોરણે બંધ કરવાના એલાન સાથે ગુરૂવારે સવારે 11 વાગ્યે ફૂટબોલ ગ્રાઉન્ડથી મોટી દમણ કલેક્ટરાલય સુધી મૌન રેલી યોજી રાષ્ટ્રપતિ માનનીય દ્રૌપદી મુર્મુજી, ગૃહમંત્રી શ્રી અમિત શાહ તથા વિદેશમંત્રી શ્રી એસ.જયશંકરને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવશે. આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાવા સર્વ સમાજના લોકોને અપીલ કરવામાં આવી છે.