(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: પુરષોતમ અધિક શ્રાવણ માસમાં પ્રગટેશ્વર ધામ આછવણીના શિવ પરિવાર દ્વારા ધર્માંચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્યમાં મલ્લિકાર્જુન જ્યોર્તિલિંગ તીર્થ ખાતે પાંચ કુંડી મહારુદ્ર યજ્ઞ કરાયો હતો, જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર શિવ પરિવારના શિવભક્તોએ ભક્તિભાવથી સહભાગી બની ભોલેનાથના અસીમ આશીર્વાદ મેળવ્યા હતા. આછવણીથી ધુશમેશ્વર જ્યોર્તિલિંગ, પરલી વૈજનાથ જ્યોર્તિલિંગ થઈ મલ્લિકાર્જુન જ્યોતિર્લીંગ સુધીની યાત્રામાં સમગ્ર શિવ પરિવારે ભજનોની રમઝટ જમાવી હતી. ધર્માંચાર્ય પરભુદાદાના સાનિધ્યમાં તમામ જ્યોતિર્લીંગના દર્શન કરી સમગ્ર શિવપરિવારે ધન્યતા અનુભવી હતી. શ્રીશૈલમ મલ્લિકાર્જુન તીર્થમાં પ્રવેશ પહેલાં તીર્થપૂજા કરી યજ્ઞ કરવાની પરવાનગી મેળવી ભગવાન શિવ અને પાર્વતી માતાને યજ્ઞમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. તીર્થપૂજાનું આયોજન મહારાષ્ટ્ર શિવ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ યજ્ઞ બાદ મહારાષ્ટ્રના તુળજા ભવાની માતાના દર્શન પણ કર્યા હતા. યજ્ઞાચાર્ય અને પ્રગટેશ્વર મંદિરના ગોર મહારાજ કશ્યપભાઈ જાનીએ મલ્લિકાર્જુન મંદિરની યજ્ઞશાળામાં વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞની વિધિ સંપન્ન કરાવી હતી.
ધર્માંચાર્ય પરભુદાદાએ સૌ સુખી રહે સમૃદ્ધિ પ્રાપ્ત કરે તેવા આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, 12 જ્યોર્તિલિંગ પૈકીનું બીજું જ્યોર્તિલિંગ મલ્લિકાર્જુન છે, દરેક જ્યોર્તિલિંગમાં યજ્ઞ કર્યા છે. આ યજ્ઞનો હેતુ પૃથ્વી ઉપર મૃત્યુ પામેલા જીવાત્માનું કલ્યાણ થાય, મોક્ષગતિ પામે અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવો છે. પુરષોતમ માસમાં સ્તકર્મ કરશો તેનું ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે, ધુશમેશ્વર જ્યોર્તિલિંગ અને પરલી વૈજનાથ જ્યોર્તિલિંગના દર્શન કરી મલ્લિકાર્જુન જ્યોર્તિલિંગ ખાતે પાંચ કુંડી યજ્ઞ કરી પુણ્યનું ઘણું મોટું ભાથું મેળવ્યું છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
યજ્ઞાચાર્ય કશ્યપભાઈ જાનીએ જણાવ્યું હતું કે, ભજન, ધૂન અને સત્સંગ હોયતો જ સાચી યાત્રા કહેવાય છે. અધિક માસ તીર્થયાત્રાનો મહિનો છે અને તેમાં આપણે તીર્થયાત્રા કરી રહ્યા છીએ. ગુરુજીની સાથે રહીને તીર્થયાત્રા અને દર્શન કરવાથી અનેકગણું પુણ્ય મળે છે. પરભુદાદાની અસીમ કળપા અને આશીર્વાદ અને તેમના એક વિચારમાત્રથી અનાયાસે આપણે શ્રીશૈલમ મલ્લિકાર્જુન જ્યોર્તિલિંગના દર્શન કરવા માટે આવ્યા છીએ, એ આપણું અહોભાગ્ય છે.
આ યજ્ઞમાં પ્રગટેશ્વર સેવા સમિતિ પ્રમુખ બીપીનભાઈ પરમાર, મંત્રી હેમંતભાઈ પટેલ, ખજાનચી અમિતભાઈ પટેલ તેમજ અપ્પુભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, કળપાશંકર યાદવ, પ્રવિણભાઈ પટેલ, ભરતભાઈ દેસાઈ, વિપુલભાઈ પંચાલ, અજયભાઈ પટેલ, ઠાકોરભાઈ પટેલ, મયુરભાઈ પટેલ સહિત મહારાષ્ટ્ર- ગુજરાત શિવ પરિવારના શિવભક્તો સહભાગી બન્યા હતા.