વર્ષોથી પરિવારવાદની રાજનીતિથી ત્રાસેલા આદિવાસી સમાજના યુવાનોમાં ખુશી અને આનંદની પ્રસરેલી લહેર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : દાદરા નગર હવેલી આદિવાસી વિકાસ સંગઠનની સમિતિને બર્ખાસ્ત કરવાનો સંઘપ્રદેશપ્રશાસન દ્વારા લેવામાં આવેલ નિર્ણયની સરાહના કરતા પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલે ખુશી વ્યક્ત કરી હતી.
પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલે તા.8 જુલાઈ, 2011ના રોજ તત્કાલિન પ્રશાસક શ્રી નરેન્દ્ર કુમારને આદિવાસી વિકાસ સંગઠનમાં ચાલતી વિવિધ ગેરરીતિઓ અને અનિયમિતતાની લેખિત ફરિયાદ કરી હતી. તેમણે ડેલકર પરિવાર દ્વારા આદિવાસી ભવનના પોતાની બાપીકી પેઢી તરીકે થઈ રહેલા વહીવટની પણ જાણકારી આપી હતી.
શ્રી નટુભાઈ પટેલે આદિવાસી ભવનમાં બનાવવામાં આવેલ દુકાનોમાંથી એક પણ દુકાન આદિવાસી સમાજની વ્યક્તિને નહીં આપી આ સંપત્તિનો વર્ષોથી થઈ રહેલ દુરૂપયોગની જાણકારી પણ આપી હતી. ડેલકર પરિવારના સાપ્તાહિક અખબાર પ્રકાશન એસ.એસ.આર. પબ્લિકેશન અને ડીએનએચ ન્યૂઝ ચેનલનું કાર્યાલય પણ આદિવાસી ભવનમાં બનાવવા ઉપરાંત ડેલકર પરિવારની સિક્યુરીટી એજન્સીનું કાર્યાલય તથા તેના પ્રશિક્ષણની ઓફિસ પણ ગેરકાયદે રીતે આદિવાસી ભવનમાં વર્ષો સુધી કાર્યરત હોવાની પણ માહિતી આપી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં આદિવાસી વિકાસ સંગઠનની મેનેજમેન્ટ કમીટિને બર્ખાસ્ત કરી આદિવાસી ભવનના સંચાલનને પોતાના હાથમાં લેવાનો લીધેલો પ્રશાસનનો નિર્ણય ઐતિહાસિક અને આવકારદાયક હોવાનું પણ પૂર્વસાંસદ શ્રી નટુભાઈ પટેલે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વર્ષોથી પરિવારવાદની રાજનીતિથી ત્રાસેલા આદિવાસી સમાજના યુવાનોમાં ખુશી અને આનંદની લહેર પ્રસરી જવા પામી છે. આદિવાસી વિકાસ સંગઠનને એક મોહરૂં બનાવી પડદા પાછળથી પોતાનો અંગત આર્થિક લાભ લેવા માટે આદિવાસી ભવનનો દુરૂપયોગ કરનારા ડેલકર પરિવારના કુકર્મો હવે પ્રજાની વચ્ચે ખુલી ગયા હોવાની લાગણી પણ પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલે વ્યક્ત કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આવતા દિવસોમાં સમસ્ત દાદરા નગર હવેલીના આદિવાસી સમાજ માટે આદિવાસી ભવન અને આદિવાસી વિકાસ સંગઠન પ્રશાસનની સક્રિયતા અને હકારાત્મકતાથી સમૃદ્ધિનું પ્રતિક બનશે.