દાદરા નગર હવેલી 2 ઓગસ્ટના રોજ પોતાના 70મા મુક્તિ દિનની ઉજવણી કરવા જઈ રહ્યું છે. કોઈપણ દેશ હોય, રાજ્ય કે જિલ્લો હોય અથવા ગામ હોય, તે તમામની ઐતિહાસિક ગાથા જાળવી રાખવાની જવાબદારી ત્યાંના નાગરિકો, પ્રજાની હોય છે અને લોકશાહીમાં વિશેષ જવાબદારી લોકનેતાની રહે છે.
દાદરા નગર હવેલી માટે આમ જોવા જઈએ તો 22 જુલાઈથી 15મી ઓગસ્ટ સુધીનો સમય આઝાદીના જશ્નનો રહેવો જોઈએ. કારણ કે, 22મી જુલાઈ 1954ના રોજ દાદરા આઝાદ થયું ત્યારબાદ 28મી જુલાઈએ નરોલી અને 2 ઓગસ્ટ 1954ના રોજ સેલવાસ પોલીસ સ્ટેશન ઉપર કબ્જો મેળવી સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોર્ટુગીઝોને બહાર ખદેડી દીધા હતા. 11મી ઓગસ્ટ, 1961ના રોજ દાદરા નગર હવેલી ભારતીય સંઘનું એક અવિભાજ્ય અંગ બન્યું હતું અને 15મી ઓગસ્ટ દેશનો સ્વાતંત્ર્ય દિવસ હોવાથી 22મી જુલાઈથી લઈ 15મી ઓગસ્ટ સુધી દાદરા નગર હવેલીમાં આઝાદીનો આનંદ-ઉત્સવ રહેવો જરૂરી હતો.
દાદરા નગર હવેલીની દીર્ઘદૃષ્ટિ વગરની નેતાગીરીએ ફક્ત 2 ઓગસ્ટની ઉજવણીને સર્વોપરી માનવાનું શરૂ કર્યું હતું. તેમાં પણ પ્રશાસનના સરકારી કાર્યક્રમમાં સાંસદશ્રીને પ્રદેશના લોક પ્રતિનિધિ તરીકે સંબોધવાની તક મળે એટલે રાજીના રેડ થઈજતા હતા. પરંતુ દાદરા નગર હવેલીની નેતાગીરીએ ક્યારેય પણ એ નહીં વિચાર્યું કે દાદરા નગર હવેલીની આઝાદીને એક ઉત્સવનું સ્વરૂપ આપીએ અને તેમાં પ્રદેશના તમામ લોકોને જોડી સતત 25 દિવસ સુધી લોકોને આઝાદીની ગાથાની યાદ અપાવવાની સાથે થઈ રહેલા સતત વિકાસની ઝાંખી પણ કરાવીએ.
દાદરા નગર હવેલીના મુક્તિ દિવસની ઉજવણી પ્રશાસને બંધ કરી નથી. ફક્ત તેમાં કેટલાક સુધારા કર્યા છે. પરંતુ પ્રદેશના લોકો પોતાની રીતે મુક્તિનો ઉત્સવ મનાવવા માટે સ્વતંત્ર છે. જો લોકોમાં ઉત્સાહ જાગે અને ઉજવણી માટે મોટી સંખ્યામાં જોડાઈ તો આવતા દિવસોમાં પ્રશાસન પણ તેમાં સામેલ થઈ શકે એવી શક્યતા નકારાતી નથી. તેથી જુસ્સો અને જોમ જાળવવાની જવાબદારી પ્રજાની છે અને તેને યોગ્ય દોરવણી આપવાનું કામ નેતૃત્વ શક્તિએ કરવાનું છે.