જૂન તા.05 અને તા.06 બે દિવસીય માતાજીનો દિવ્ય રથ શહેરના વિવિધ વિસ્તારમાં પરિભ્રમણ કરશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: સમગ્ર વિશ્વના પાટીદારો દ્વારા સ્થાપિત સંચાલિત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા અમદાવાદ જાસપુર એસ.જી. હાઈવે ઉપર વિશ્વનું સૌથી ઊંચાઈ ધરાવતું મંદિર 1000 કરોડના ખર્ચે આકાર લઈ રહ્યું છે. આ પ્રકલ્પના પ્રચાર-પ્રસાર માટે ગુજરાતભરમાં માતાજીનો દિવ્ય રથ ભ્રમણ કરી રહ્યો છે તે ફરતા ફરતા જૂન-5અને જૂન-6 ના રોજ વાપીમાં પધારવાનો છે. શહેરના વિવિધ રસ્તાઓ ઉપર દિવ્ય રથ પરિભ્રમણ કરશે. અનેક ઘરોમાં માતાજીની પાલખી પધરામણી થનાર છે.
દિવ્ય રથની સવિસ્તાર માહિતી આપવા માટે આજે શનિવારે વી.આઈ.એ. કોન્ફરન્સ હોલમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં દિવ્ય રથ સંચાલક સમિતિ ઉમિયા પરિવાર વાપી તરફથી પત્રકાર પરિષદનું આયોજન બપોરે 3:00 કલાકે કરવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં સંચાલક સમિતિના અગ્રણી સતિષભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પટેલએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. માતાજીનો દિવ્યરથ તા.05 જૂન સવારે હાઈવે અવધ ઉટોપીયામાં ભવ્ય સ્વાગત-આરતી, શણગાર બાદ વાપી ગુંજન આવવા પ્રસ્થાન કરશે. ત્યારબાદ છરવાડા રોડ ઉમિયા ચોકમાં દિવ્ય રથનું ભવ્ય સ્વાગત કરાશે તે પછી શહેરમાં પરિભ્રમણ કરશે. દિવ્ય રથ તા.05 અને તા.06 જૂને રોફેલ કોલેજ પરિસરમાં રાત્રી વિરામ કરશે. બે દિવસ બપોરે અને સાંજે મહાપ્રસાદ અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ રાસગરબાનું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું છે. ઉમિયા પરિવાર વાપી દ્વારા માતાજીના દિવ્ય રથના દર્શન કરવા માટે જાહેર આમંત્રણ પાઠવાયું છે.