(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.03: ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે બાયપાસ રોડના પ્રવેશ દ્વાર ઉપર આદિવાસીના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની અનાવરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આગામી 9મી ઓગસ્ટના રોજ આદિવાસી દિવસ નિમિત્તે ઉમરગામ તાલુકાના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરના હસ્તે અનાવરણની વિધિ કરવામાં આવશે એવી માહિતી પ્રાપ્ત થવા પામી છે. આ કામગીરી માટે ઉમરગામ તાલુકાના આદિવાસી યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉમરગામ તાલુકાની આદિવાસી તમામ જાતિ આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે એક મંચ ઉપર છે. આ કાર્યક્રમમાં રાજકારણ ન પ્રવેશે એની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રેલી ધોડીપાડા સાંસ્કળતિક હોલ ખાતે પહોંચી જાહેર સભામાં રૂપાંતરિત થશે એવું જાણવા મળી રહ્યું છે. ઉમરગામ તાલુકો બહુધા આદિવાસી વિસ્તાર ધરાવતો છે. અને આજે પણ ઉમરગામ તાલુકાના આદિવાસીઓ પોતાના હકથી વંચિત હોવાનું બહાર આવી રહ્યું છે. જ્યારે આ પ્રસંગે તમામ આદિવાસીઓ એક મંચ ઉપર આવી એકતાનું પ્રદર્શન કરીપોતાના હક માટે અવાજ બુલંદ કરશે એવુ આંકલન કરવામાં આવી રહ્યુ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આદિવાસી યુવા નેતાઓ તડામાર તૈયારી કરી રહ્યા છે.