(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.03: સરીગામ જીઆઈડીસીમાં કાર્યરતકોરોમંડલ ઈન્ટરનેશનલ કંપનીએ ઉમરગામ તાલુકાની શાળાઓના વિદ્યાર્થીઓમાં ગુણવત્તા યુક્ત શિક્ષણ, ભાષા કૌશલ્ય તેમજ વિદ્યાર્થીઓની સંચાર શક્તિ અને ક્ષમતા વધે એ દિશામાં તાલીમ આપવા મેજિક ઇંગલિશ એસએલએલ કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે. આ તાલીમ ચેન્નઈની પ્રખ્યાત કરાડી પથ એજ્યુકેશન કંપની દ્વારા આપવામાં આવશે. આજરોજ સરીગામની આદર્શ બુનિયાદી શાળામાં કાર્યક્રમની શરૂઆત કરી છે. આ પ્રસંગે કોરોમંડલ ઈન્ટરનેશનલ લિમિટેડ કંપનીના મેનેજમેન્ટ સ્ટાફ જનરલ મેનેજર શ્રી ઉદય કુમાર, મેનેજર શ્રી દિવાકર, પ્રોગ્રામ મેનેજર શ્રી સાકીબ પેન્ટર, વરિષ્ઠ ટ્રેનર શ્રી હર્ષદ સાલૂકે, એચઆર પ્રતિનિધિ શ્રી નરેશ પટેલ અને શ્રી બ્રિજેશ પંચાલ, સીએસઆર હેડ વૈશાલીબેન મૌર્ય તેમજ આદર્શ બુનિયાદી શાળાના મુખ્ય શિક્ષક શ્રી બ્રિજેશભાઈ પટેલ અને શિક્ષકગણની ઉપસ્થિતિ જોવા મળી હતી. આ પ્રસંગે કંપનીના મેનેજમેન્ટે માહિતી આપતા જણાવ્યું હતું કે ઉમરગામ તાલુકાની સાત શાળાઓના 2300 વિદ્યાર્થીઓને આ પ્રકારની તાલીમ આપી ટેલેન્ટેડ બનાવવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે કરાડી પથ એજ્યુકેશન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા વિદ્યાર્થીઓને ભણાવતા 63 શિક્ષકોને તાલીમ આપી નિપુણ કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું.