-
દાદરા નગર હવેલીના આદિવાસી સમુદાયને નહીં પુરાય તેવી કાયમી પડેલી ખોટ
-
કેશુભાઈ પટેલ મળતાવડા અને સિદ્ધાંતવાદી હતા, તેઓ નેતાઓ દ્વારા કરાતા દલ-બદલના સખત વિરોધી હતા અને માનતા હતા કે પક્ષ સાથેની વફાદારી બદલવાથી પ્રદેશને મોટું નુકસાન સહન કરવું પડે છે
-
2019ની ચૂંટણીમાં પણ કેશુભાઈ પટેલ પોતાના કોંગ્રેસ પક્ષની સાથે જ રહ્યા હતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24
દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને દાદરા નગર હવેલી પ્રદેશ કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ શ્રી કેશુભાઈ પટેલે આજે પોતાના મકાનની અગાસી ઉપર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. તેઓ કેન્સરની બિમારીથી પીડાઈ રહ્યા હોવાથી છેવટે કંટાળીને તેમણે પોતાના આત્મવિલોપનનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.
દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપ પ્રમુખ, શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના અનેક પદો સંભાળ્યા હતા. તેઓએ આદિવાસી વિકાસ સંગઠનના મહામંત્રી પદ ઉપરાંત એસ.એસ.આર. મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ ફરજ બજાવી હતી.
શ્રી કેશુભાઈ પટેલનો સ્વભાવ મળતાવડો અને સિધ્ધાંતવાદી હતો. તેઓ પોતાના મૃત્યુપર્યંતકોંગ્રેસ પક્ષને વળગી રહ્યા હતા. કોંગ્રેસ સાથે તેઓ વફાદારીપૂર્વક રહ્યા હતા.
શ્રી કેશુભાઈ પટેલે સ્વ. સાંસદ મોહનભાઈ ડેલકર દ્વારા મગફળીના છોતરાંની જેમ રાજકીય પક્ષોને ફેંકી દેવાની અપનાવેલી નીતિનો પણ વિરોધ કર્યો હતો અને તે વખતે જણાવ્યું પણ હતું કે, આ પ્રકારની દલ-બદલની નીતિથી પ્રદેશ અને પોતાને પણ ભવિષ્યમાં નુકસાન થશે.
શ્રી કેશુભાઈ પટેલે કોંગ્રેસ સાથે રહેવાનું પસંદ કર્યું હતું અને સ્વ. સાંસદ મોહનભાઈ ડેલકરનો સાથ પણ છોડી દીધો હતો.
સ્વ. કેશુભાઈ પટેલના નિધનથી દાદરા નગર હવેલીના આદિવાસી સમાજને અક્ષમ્ય ખોટ પડી છે.