હાઈવે સર્વિસ રોડ ઉપર સવાર-સાંજ ભેંસોના આવતા જતા ટોળા અકસ્માત સર્જી રહ્યા છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: વાપી બલીઠા પુલ નજીક ગોકુલ વિહાર સોસાયટીના ગેટ સામે આજે મંગળવારે સવારે રખડતાજાનવરોએ અકસ્માત સર્જ્યો છે. સુરતથી મુંબઈ જઈ રહેલ કેમિકલ ભરેલ ટેન્કર વચ્ચે ભેંસોનું ટોળુ વચ્ચે આવી જતા ભેંસો બચાવવા જતા ટેન્કર પલટી મારી ગયું હતું. અકસ્માતને લઈ ટ્રાફિક જામ કલાકો સુધી રહ્યો હતો.
અકસ્માતની વિગતો મુજબ વાપી નેશનલ હાઈવે 48 ઉપર ગોકુલ વિહાર ગેટની સામે વહેલી સવારે કેમિકલ બરેલુ ટેન્કર પલટી મારી ગયું હતું. સીમરન ટ્રાન્સપોર્ટ કંપની ટેન્કર નંબર એન.એલ.1 800 કેમિકલ ભરી સુરતથી મુંબઈ તરફ જઈ રહ્યું હતું ત્યારે બન્યું એવું હતું કે, ભેંસોનું ટોળુ આવી જતા બચાવવા જતા ચાલકે સ્ટીયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ટેન્કર પલટી મારી ગયું હતું. રોડ ઉપર કેમિકલ ઢોળાઈ જતા ગભરાટનો માહોલ ફેલાયો હતો. અકસ્માતની જાણકારી બાદ ફાયર અને પોલીસ વિભાગ ઘટના સ્થળે પહોંચી મામલો સંભાળ્યો હતો. ટેન્કર ચાલકને સામાન્ય ઈજા થઈ હતી. ઉલ્લેખનીય છે કે, આગામી 14 ઓગસ્ટે રાજ્ય કક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પી.ટી.સી. કોલેજમાં યોજાનાર છે. જેમાં 7 હજાર આમંત્રિતો આવનાર છે. મુખ્યમંત્રી અને રાજ્યપાલ પણ ઉપસ્થિત રહેવાના છે ત્યારે તંત્રએ આજની ઘટનાની શીખ લઈ જરૂરી આયોજન કરવું રહ્યું.