(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘મારી માટી, મારો દેશ’, ‘માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમમાં 1971ના ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં ફૌજી તરીકે લડનારા શ્રી અમ્રતભાઈ કે. રાઠોડનું તેમના ઘરે જઈ સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતીય સેનાના નિવૃત્ત સૈનિક શ્રી અમ્રતભાઈ કે. રાઠોડની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેઓ સવારે કાર્યક્રમ સ્થળ સુધી પહોંચી નહીં શક્યા હતા. જેની નોંધ લઈ દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીના નેતૃત્વમાં પંચાયતની ટીમ ફૌજીના ઘરે પહોંચી તેમનું આદર સાથે સન્માન કરવામાં આવ્યું હતું. સરપંચ શ્રી દ્વારા શાલ ઓઢાડી સ્મૃતિ પત્ર આપી તેમનું અભિવાદન કરાયું હતું અને તેમના તંદુરસ્ત નિરોગી જીવનની કામના પણ કરી હતી. આ કાર્યક્રમમાં પંચાયતના સેક્રેટરી શ્રી પ્રિયાંક પટેલ, શ્રી રોહિત ગોહિલ વગેરે જોડાયા હતા.