- ભગવાન બિરસા મુંડાના એક હાથમાં લાકડું અને બીજા હાથમાં તીર-કામઠાંની જગ્યાએ હવે એક હાથમાં પુસ્તક અને બીજા હાથમાં કલમ(પેન) પકડવા આદિવાસી સમાજને આહ્વાન
- દમણ જિલ્લા પ્રશાસન આદિવાસી સમુદાયના પાંચથી દસ મેઘાવી યુવાનોના આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.એફ.એસ. જેવી સ્પર્ધાત્મક પરીક્ષાનાકોચિંગનો ખર્ચ ઉઠાવશે
- આગામી 15મી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના દિવસે આદિવાસી સમાજ માટે સમૂહ લગ્નના આયોજન માટે જિલ્લા કલેક્ટર ડો. સૌરભ મિશ્રાએ કરેલી જાહેરાત
- ભગવાન બિરસા મુંડાના એક હાથમાં લાકડું અને બીજા હાથમાં તીર-કામઠાંની જગ્યાએ હવે એક હાથમાં પુસ્તક અને બીજા હાથમાં કલમ(પેન) પકડવા આદિવાસી સમાજને આહ્વાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09 : આજે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજના સહયોગથી ‘આંતરરાષ્ટ્રીય ટ્રાઈબલ દિવસ’ની નાની દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં જળ, જમીન અને જંગલના જય જયકાર સાથે કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા જિલ્લા કલેક્ટર ડો. સૌરભ મિશ્રાએ અગામી 15મી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ પ્રસંગે આદિવાસી સમાજ માટે સમૂહ લગ્ન સમારંભ યોજવાની જાહેરાત કરી હતી. તેમણે દમણના આદિવાસી સમાજના દિકરા-દિકરીને આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.એફ.એસ. જેવા પ્રશાસનિક અધિકારીઓ બનાવવા માટે પાંચથી દસ મેઘાવી બાળકોનો ખર્ચ પ્રશાસન ઉઠાવશે એવી જાહેરાત પણ કરી હતી.
જિલ્લા કલેક્ટર ડો. સૌરભ મિશ્રાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દમણના આદિવાસી દિકરા-દિકરીપણ કલેક્ટર કે ડી.એસ.પી. બની શકે એ દિવસો દૂર નથી. તેમણે પ્રશાસન દ્વારા આદિવાસી કલ્યાણ માટે થઈ રહેલા વિવિધ પ્રયાસોની પણ જાણકારી આપી હતી.
આ પ્રસંગે દમણ જિલ્લા વારલી સમાજના અધ્યક્ષ શ્રી રવુભાઈ વારલીએ ભગવાન બિરસા મુંડાના એક હાથમાં લાકડું અને બીજા હાથમાં તીર-કામઠાંનું દૃષ્ટાંત આપતાં જણાવ્યું હતું કે, હવે સમય બદલાયો છે. તેમણે હવે એક હાથમાં પુસ્તક અને બીજા હાથમાં કલમ(પેન) પકડવા તમામ આદિવાસી સમાજને આહ્વાન કર્યું હતું.
દમણ જિલ્લા હળપતિ સમાજના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ હળપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સમાજની સ્થિતિના પરિવર્તન માટે ભણવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મજૂરી કરીને પણ પોતાના બાળકોને ભણાવો. તેમણે જણાવ્યું હતું કે, પ્રશાસને ભણવા માટેની તમામ વ્યવસ્થાઓ કરેલી છે તેનો લાભ ઉઠાવો.
શ્રી વિષ્ણુભાઈ હળપતિએ મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તનની થઈ રહેલી ચેષ્ટા સામે જાગૃત રહેવા સમાજને અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે, જો ધર્મ પરિવર્તન કરશો તો સમાજ તરફથી કોઈ લાભ નહીં મળશે.
દમણ જિલ્લા આદિવાસી સમાજના પ્રમુખ શ્રી ધીરૂભાઈ ધોડીએ ઝરીમાં પાણીની સમસ્યા અને મોટી દમણના કલેક્ટરાલયની પાછળ બનાવવામાં આવેલ આદિવાસી સાંસ્કૃતિકભવનનો કબ્જો આદિવાસી સમાજને સુપ્રત કરવા માંગણી કરી હતી.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, દમણ ન.પા.ના પ્રમુખ શ્રી અસ્પીભાઈ દમણિયા, દમણ જિ.પં.ના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ શ્રી લાલુભાઈ પટેલના ધર્મપત્ની શ્રીમતી તરૂણાબેન પટેલે પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ભાવિક હળપતિએ કર્યું હતું.
આ પ્રસંગે દમણ નગરપાલિકાના ઉપ પ્રમુખ શ્રીમતી રશ્મિબેન હળપતિ, દમણ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, દમણ જિલ્લા હળપતિ સમાજના પૂર્વ અધ્યક્ષ શ્રી વિક્રમભાઈ હળપતિ, ડેપ્યુટી કલેક્ટર શ્રી પ્રિયાંશુ સિંહ, દમણના બીડીઓ શ્રી રાહુલ ભીમરા, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, કાઉન્સિલરો સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.