(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.11: વંકાલ ગામના વાણિયાતળાવ ફળીયામાં આવેલ સરકારી તળાવના તળિયામાંથી નાંખવામાં આવેલ આરસીસી પાઈપમાંથી વરસાદનુંસંગ્રહ થયેલ પાણી વહી રહ્યું હતું. અને તળાવ ખાલી થવા માંડતા ગામના પૂર્વ સરપંચ વાસંતીબેન ઉપરાંત દીપકભાઈ સહિતના સ્થાનિકો દ્વારા આ નકામું વહી જતું પાણી અટકાવવામાં અને તળિયામાં આરસીસીના પાઈપ નાખી કોના દ્વારા પાણીનો નિકાલ કરવાનું તળાવ ખાલી રાખવાનું પ્રયોજન કરાયું હતું. તેની તપાસની માંગ કરતા જિલ્લા કલેકટરના આદેશ બાદ ટીડીઓ મામલતદાર સહિતનાઓએ ગતરોજ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
આ દરમિયાન જીસીબી દ્વારા માટી પુરાણ કરી તળાવમાંથી નકામું વહી જતું પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું. જેને પગલે સ્થાનિકોને મોટી રાહત થવા પામી છે. બીજી તરફ આજરોજ અંબિકા સબ ડિવિઝન અને જિલ્લા પંચાયત સિંચાઈ અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા જરૂરી અહેવાલ પ્રાંત અધિકારીને સોંપવામાં આવશે.
જોકે તળાવમાંથી પાણી વહેતું બંધ કરી દેવાની ફરજ પડી છે ત્યારે તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ ન થાય અને ચોમાસા બાદ જલ્દી સુકાઈ જાય અને માટી ઉલેચી શકાય તેવી ફિરાકમાં રહેનારાઓની આશા પર પાણી ફરી વળ્યું હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે. જોકે આ તળાવ સરકારી હોય તેવા સંજોગોમાં પાણીનો વ્યય થતો અટકાવવામાં જવાબદારો સામે તંત્ર દ્વારાકાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું.