પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આગામી પ વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી મહાસત્તા બનશેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ
પાંચ હજાર કરોડ રૂપિયાના ખર્ચથી પૂર્ણ થયેલ 190 વિકાસના પ્રોજેક્ટો પૂર્ણઃ 3700 કરોડ રૂપિયાના લક્ષ્યાંકથી નવા 85 પ્રોજેક્ટો કાર્યાન્વિત
દાનહઃ દપાડાના પાટી ખાતે 100 બેડની અદ્યતન આયુર્વેદિક હોસ્પિટલ બનશેઃ દેવકા-જમ્પોર બીચ ઉપર નમો પથ અને રામસેતૂને જોડતો નવો બ્રિજ બનાવવા જાહેરાત
દાનહ ખાતે દર વર્ષે ડામર નહીં કરવો પડે તેવા ઉત્તમમાં ઉત્તમ ગુણવત્તાવાળા રોડ બનશેઃ પ્રશાસકશ્રીએ જર્જરિત રોડની પીડાથી સ્વયં પરિચિત હોવાનો કરેલો નિખાલસ એકરાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: દાદરા નગર હવેલીના ખાનવેલ ખાતે બિરસા મુંડા સરકારી પ્રાથમિક શાળામાં પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે 77મા સ્વાતંત્ર્ય દિનના પર્વ નિમિત્તે તિરંગો લહેરાવી લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, આઝાદીનો આ અમૃતકાળ વિકાસના નવા આવિષ્કારો સર કરી દેશને નવી દિશા આપવામાં અનંત સ્વપ્ન અને અસંખ્ય આકાંક્ષાઓને પુરા કરી વિકાસના નવા સ્તંભને સાકાર કરવાનો અમૃતકાળ છે. તેમણેપ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આગામી પ વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી મહાસત્તા બનશે એવો વિશ્વાસ પ્રગટ કર્યો હતો.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને સીધી કૃપા દૃષ્ટિથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવે પણ તમામ કેન્દ્રીય યોજનાઓના કાર્યાન્વય સાથે નવા ભારતના નિર્માણમાં ડગથી ડગ માંડયા હોવાનું દાખલા-દૃષ્ટાંતો સાથે પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે સમજાવ્યું હતું.
સંઘપ્રદેશ પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે ડ્રોન ટેકનોલોજી માટે વધી રહેલી માંગને ધ્યાનમાં રાખી આઈટીઆઈમાં ડ્રોન ટેક્નિશીયન અભ્યાસક્રમ શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. તેમણે હોટલ મેનેજમેન્ટ, એનઆઈએફટી, નેશનલ લો યુનિવર્સિટીમાં ભારતમાં પહેલી વખત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે 20 ટકા બેઠકો આરક્ષિત રખાઈ છે. દાનહના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાલયોમાં 164 શિક્ષકોની રેગ્યુલર નિયુક્તિ કરવામાં આવી હોવાની માહિતી પણ આપી હતી. તા.31મી ઓગસ્ટથી યુવાનોના રોજગાર માટે વેબ પોર્ટલ પ્રારંભ થઈ રહ્યો હોવાની પણ માહિતી આપી હતી.
પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે પાંચ હજાર કરોડ રૂપિયાના ખર્ચથી 190 પરિયોજનાઓનું કાર્ય પૂર્ણ થયું છે અને 3700 કરોડ રૂપિયાના ખર્ચવાળી 85 પરિયોજનાઓનું કામ ચાલું હોવાનીમાહિતી આપી હતી. તેમણે રૂા. 7પ કરોડના ખર્ચે ખાનવેલમાં રિવરફ્રન્ટ બનાવવાની જાહેરાત પણ કરી હતી. પ્રદેશને દીવ થી અમદાવાદ, દિલ્હી, દીવથી ગોવાની ફલાઈટ સુવિધા ઉપલબ્ધ કરાવવાની પણ જાહેરાત કરી હતી.
પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે દાનહની દપાડા પંચાયતના પાટી ખાતે 100 બેડની અદ્યતન આયુર્વેદિક હોસ્પિટલ બનાવવા, જમ્પોર-દેવકા વચ્ચે નમો પથ અને રામસેતૂને જોડતો બ્રિજ રૂા.1પ0 કરોડ કરતા વધુ ખર્ચે બનાવવા, કચીગામ તળાવનું બ્યુટીફિકેશનના કામની જાહેરાત પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલીના જર્જરિત રોડની પીડાથી તેઓ પણ પરિચિત છે અને દર વર્ષે ડામર નહીં કરવો પડે તેવો ઉત્તમમાં ઉત્તમ ગુણવત્તાવાળા રોડ બનાવવાની પણ જાહેરાત કરી હતી. મોટાભાગની ગ્રામ પંચાયતોમાં વરસાદની સિઝનના વિરામ બાદ એક ફૂટ જાડા સિમેન્ટના રોડ બનાવવાની પણ ઘોષણા કરી હતી.
સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રજાના સહયોગથી 6 વર્ષના કાર્યકાળમાં ભારત સરકાર દ્વારા 100 કરતા વધુ મેડલો મળ્યા છે. તેમણે દાદરા નગર હવેલીમાં સફેદ મુસળીની ખેતી કરવાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેઓ વાયદા બજારમાં માનતા નથી અને જે કહે છે તે કરવામાં માને છે અને તેનુંપરિણામ પણ સામે છે.
આ કાર્યક્રમમાં ગોવા, આસામ, લક્ષદ્વિપ, બિહાર અને મણિપુરના રંગબેરંગી પરિધાનોથી સજ્જ કલાકારો દ્વારા પોત પોતાના વિસ્તારની સાંસ્કૃતિ કૃતિ રજૂ કરવામાં આવી હતી.
પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા નવજાત દિકરીઓના મા-બાપને ચંદનના ત્રણ છોડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જેથી દિકરીના શિક્ષણ અને તેના લગ્નનો ખર્ચ ચંદનના વૃક્ષોના વેચાણમાંથી નિકળી શકે એવો હેતુ રહેલો છે.
આ પ્રસંગે દમણ-દીવના સાંસદશ્રી લાલુભાઈ પટેલ, દાનહ જિ.પં.ના અધ્યક્ષશ્રી દામજીભાઈ કુરાડા, સેલવાસ ન.પા.ના અધ્યક્ષ શ્રીમતી રજનીબેન શેટ્ટી, દાનહના પૂર્વ સાંસદશ્રી નટુભાઈ પટેલ અને શ્રી સીતારામભાઈ ગવળી, પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી દિપેશભાઈ ટંડેલ, પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અમિત સિંઘલા, નાણા સચિવશ્રી ગૌરવસિંહ રાજાવત, ડીઆઈજીપી શ્રી મિલિન્દ મહાદેવ ડુમ્બેરે, મુખ્ય વનસંરક્ષક શ્રી એમ. રાજકુમાર, દાનહ કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભા, ડેપ્યુટી કલેક્ટર સુશ્રી ચાર્મી પારેખ સહિત જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, સેલવાસ ન.પા.ના કાઉન્સિલરો સહિત મોટી સંખ્યામાં રંગબેરંગી વેશ પરિધાનમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.