સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ડેલકરનું નામ લીધા વગર પ્રગટ કરેલો આક્રોશઃ એક જ પરિવારે 2પ-30 વર્ષ શાસન કર્યું હોવા છતાં કૌંચાનો એક બ્રિજ બનાવી શક્યા નથીઃ તેમને આદિવાસીઓ પ્રત્યે કોઈ સ્નેહ કે લાગણી નહીં હતી, ફક્ત ઉદ્યોગપતિઓ સાથે સારા સંબંધો રાખવા, ઉદ્યોગપતિઓને દબડાવવા અને ધમકાવવામાં જ રસ હતો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: સેલવાસના સાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આયોજીત સ્પોર્ટ્સ આઉટરિચ કાર્યક્રમ અને સ્પોર્ટ્સ કિટ્સ વિતરણના સમારંભમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 30 વર્ષ પહેલા જો સાયલીનું ક્રિકેટ ગ્રાઉન્ડ બનીને તૈયાર હોત તો આજસુધીમાં ઘણા ખેલાડીઓએ રણજી ટ્રોફી કે દેશની ક્રિકેટ ટીમમાં પણ સ્થાનપામવા ભાગ્યશાળી બન્યા હોત. તેમણે ડેલકર પરિવારનું નામ લીધા વગર આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, પ્રદેશના આદિવાસીઓ પ્રત્યે તેમને કોઈ લાગણી કે સ્નેહ નહીં હતો તેમને તો ફક્ત ઉદ્યોગપતિઓ સાથે સંબંધ રાખવામાં અને ઉદ્યોગપતિઓને ડરાવવા અને ધમકાવવામાં જ રસ હતો. આઝાદીના 7પ વર્ષ બાદ કૌંચાનો બ્રિજ બની શક્યો છે. જેના કારણે આજે કૌંચા ગામ આઝાદ થયું હોવાની લાગણી વ્યક્ત કરી હતી. દાદરા નગર હવેલી ખાતે રોડના કામ આગામી ચોમાસા પહેલા પૂર્ણ થઈ જશે એવો વિશ્વાસ પણ પ્રશાસકશ્રીએ પ્રગટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આગામી 2પ વર્ષની જરૂરીયાતને ધ્યાનમાં રાખી પ્રદેશના રસ્તા સહિતના તમામ કામો ટકાઉ અને ગુણવત્તા પૂર્ણ થઈ રહ્યા છે. પ્રદેશની એક પણ પંચાયત એવી નહીં હોય કે ત્યાં વિકાસના કામો નહીં થયા હોય આ તમામ બાબતનો શ્રેય પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપ્યો હતો. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિ અને સ્નેહથી ફક્ત દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શિક્ષણ ક્ષેત્રે જ વિકાસ નથી થયો પરંતુ રમત-ગમત ક્ષેત્રે પણ ખેલો ઈન્ડિયાના માધ્યમથી અભૂતપૂર્વ વિકાસ થયો છે.