(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ,તા.20: ‘‘મારી માટી મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકારના સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ યુવા બોર્ડના સ્ટેટ કો-ઓર્ડિનેટર કૌશલભાઈ દવેના નેતૃત્વમાં ઝોન સંયોજક હર્ષિતભાઈ દેસાઈના આગેવાનીમાં અને જિલ્લા સંયોજક કિરણભાઈ ભોયાના સૂચનથી સમગ્ર વલસાડ જિલ્લામાં વિવિધ તાલુકા અને નગરપાલિકા સંયોજકો દ્વારા દેશ માટે સેવામાં જોડાયેલા સૈનિકો કે જેમાં નિવૃત્ત સૈનિકો, દેશ માટે શહીદ થયેલા સૈનિકો અને હાલમાં ફરજ બજાવી રહેલા સૈનિકો અને એમના પરિવારની મુલાકાત કરી તેમણે કરેલી સેવા બદલ ફુલ હાર પહેરાવી સાલ ઓઢાડી નિવૃત્ત સૈનિકોને મીઠું મોઢુ કરાવી દેશ માટે તેઓએ કરેલી સેવાને બિરદાવવામાં આવી હતી. આ કાર્યક્રમ હેઠળ સમગ્ર વલસાડ જિલ્લામાં 180 થી વધુ સૈનિકોના પરિવારની મુલાકાત કરી સન્માન કરવામાં આવ્યું.
ઝોન સંયોજક હર્ષિતભાઈ દેસાઈએ જણાવ્યું કે, દેશની બોર્ડર પર ઉભા રહેલા જવાન આપણા માટે રાત દિવસ જીવ જોખમમાં મૂકી ઉભા રહે છે. જુવાન દીકરાને દેશની રક્ષા માટે મોકલતા માતા, પિતા, ભાઈ, બહેનો અને વાલીઓ પણ વંદનીય છે. તેમનું ઋણ સમગ્ર દેશવાસીઓ ઉપર રેહશે. આ કાર્યક્રમ થકીતમામ સૈનિકો અને શહીદોના પરિવારનો આભાર વ્યક્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. આ સન્માનથી સૈનિકોની આંખોમાં હરખના આંસુ આવ્યા હતા અને જણાવ્યું કે, આજદિન સુધી કોઈએ અમારી પાસે આવી આ રીતે સન્માન કર્યુ નથી અને ખરેખર કોઈ આવશે એવી અમે કલ્પના પણ કરી ન હતી, તમે લોકો આવ્યા અને સન્માન કર્યુ તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.