ગત વર્ષે બી.એસ.સી.માં 35 ટકાએ એડમિશન આપવામાં આવ્યું હતું, પરંતુ આ વર્ષે 35 ટકાની જગ્યાએ 40 ટકા કરી દેતાં એડમીશન નહીં મળી રહ્યું હોવાનો કકળાટ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિ અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શનમાં શૈક્ષણિક ક્ષેત્રે સંઘપ્રદેશમાં વિશ્વ કક્ષાનો વિકાસ કર્યો છે. જેમાં તમામ પ્રકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈ અદ્યતન ક્લાસરૂમની વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે. પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્તારની સ્થાનિક 40થી વધુ વિદ્યાર્થીનીઓને બી.એસ.સી.માં અને બી.એસ.સી. નર્સિંગ કોલેજમાં એડમિશન નહીં મળતા તેઓએ જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે.
વિદ્યાર્થીનીઓના જણાવ્યા મુજબ બી.એસ.સી. કે બી.એસ.સી. નર્સિંગ માટે ઓનલાઇન એડમિશન ફોર્મ ભરીએ છીએ તો અમારા ફોર્મ સ્વીકારવામાં આવતા જ નથી, અમારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 40 ટકાથી ઓછા માર્ક આવ્યા છે, તેથી અમને એડમિશન આપવામાં આવી રહ્યું નથી. વિદ્યાર્થીઓ જણાવે છે કે, જો અમને વિજ્ઞાન પ્રવાહના આગળના અભ્યાસ માટે અને નર્સિંગ કોલેજમાંએડમિશન નહીં મળશે તો અમારૂં ભવિષ્ય અંધકારમય બની જશે.
ગત વર્ષે બી.એસ.સી.માં 35 ટકાએ એડમિશન આપવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે 35ની જગ્યાએ 40 ટકા કરી દેતાં અમને એડમીશન મળી રહ્યું નથી. તેથી અમને વહેલી તકે કોલેજમાં એડમિશન મળે તે માટે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે.
ઉપરાંત વિદ્યાર્થીનીઓના વાલીઓના જણાવ્યા મુજબ દાનહ જિલ્લામાં આદિવાસીઓના નામે મેડિકલ કોલેજનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પરંતુ જો સ્થાનિક આદિવાસીઓના છોકરા-છોકરીઓને જ તેમાં એડમિશન નહીં મળે તો અમારા બાળકો ક્યાં જશે? જેથી ગત વર્ષની જેમ આ વર્ષે પણ બાકી રહેલા પ્રવેશવાંચ્છુ તમામ વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓને વિજ્ઞાન પ્રવાહની અને મેડિકલ ક્ષેત્રેની કોલેજોમાં 35 ટકાએ એડમીશન આપવામાં આવે અને આદિવાસી વિદ્યાર્થીઓનું ભાવિ ધુંધળુ નહીં બને તે માટે અમે ન્યાયની માંગ કરીએ છીએ.