સંઘપ્રદેશ પ્રશાસનના આરોગ્ય વિભાગે ડેંગ્યુ સામે સાવચેતીના પ્રોટોકોલનો અમલ કરવા કરેલી અપીલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સ્માર્ટ શહેર સેલવાસમાં વિવિધ વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી ડેંગ્યુ, વાયરલ ફીવર, મેલેરિયા, કોલેરા તથા કમળા જેવી બીમારીની ઝપેટમાં દર્દીઓ આવી રહ્યા છે. તાજેતરમાં સેલવાસ શહેરના વિવિધ વિસ્તારોમાં મચ્છરજન્ય બીમારીનો વાવર વધવા પામ્યો છે. જેના કારણે સરકારી તથા ખાનગી હોસ્પિટલો, ક્લીનિકોમાં દર્દીઓની સંખ્યા રોજે રોજ વધી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલીના ડોકમરડી ખાડી વિસ્તારમાં રહેતા હિરેન કાપડી (ઉ.વ.35)ને તાવ આવ્યો હતો. સૌપ્રથમ ખાનગી દવાખાનામાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો મેડિકલતપાસ કરવામાં આવી હતી જેમાં રિપોર્ટમાં ડેંગ્યું થયો હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં તેમની તબિયત વધુ બગડતા વધુ સારવાર માટે સેલવાસ ખાતેની શ્રી વિનોબા ભાવે સિવિલ હાસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ અહીં સારવાર દરમિયાન હિરેન કાપડીનું આજે મોત થયું હતું.
ડેંગ્યુ જેવા જીવલેણ રોગથી બચવા સંઘપ્રદેશ પ્રશાસનના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે, તેઓ પોતાના ઘર અને ઘરની આજુબાજુ મચ્છરના પ્રજનન સ્થળ જેમ કે, પાણીની ટાંકી, પંખીઓ માટે પાણીના વાસણો, ફ્રીઝ અને એ.સી.ની ટ્રે, ટીન અને પ્લાસ્ટિકના ડબ્બા, ફુલદાની, નારિયેળીના કુંચલા, તૂટેલા ફૂટેલા વાસણો, જૂના ટાયર વગેરે અઠવાડિયામાં એક વખત જરૂર ચેક કરવા. મચ્છરોના કરડવાથી બચવા માટે એવા કપડાં પહેરવા કે જેનાથી શરીર પૂર્ણ રીતે ઢંકાઈ.
આરોગ્ય વિભાગના સૂચવ્યા મુજબ ડેંગ્યુ ફેલાવતા મચ્છર સ્વચ્છ પાણીમાં જ પેદા થાય છે અને દિવસ દરમિયાન કરડે છે, ડેંગ્યુના લક્ષણ જોતાં સૌપ્રથમ તાવ આવવો, માંસપેશીઓ અને સાંધામાં દુઃખાવો થવો, ગભરામણ થવી, આંખોમાં બળતરા થવી, જે આંખોને ફેરવતી સમયે દુઃખાવામાં વધારો થવો, ગંભીર સમયે નાક, મોઢું, મસૂડમાંથી લોહી પડવું, ચામડી પર ચાઠા પડવાં જેવાલક્ષણ હોય શકે છે. યોગ્ય કાળજી લેવામાં આવે તો આ બીમારીથી આસાનીથી બચી શકાય છે.