દાનહના ખરડપાડા ખાતે રહેતી બે સંતાનની માતા કિંજલ ભંડારીએ પોતાના અડોશ-પડોશમાં રહેતાં અપરણિત પ્રેમી સની ભંડારી સાથે મળી પતિ સુનિલ ભંડારીનું ગળું અને મોઢું દબાવી કરેલી હત્યાઃ પોસ્ટમોર્ટમ દ્વારા છત્તું થયેલું રહસ્ય
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31 : દાદરા નગર હવેલીના ખરડપાડા ખાતે ‘‘પતિ-પત્ની ઔર વો”ના કિસ્સામાં કરૂણ અંજામ આવ્યો છે અને બે સંતાનની માતા એવી પત્નીએ પોતાના કુંવારા પ્રેમી સાથે મળી પતિનું કાસળ કાઢી નાંખ્યું હોવાની ઘટનાનો પોલીસે પર્દાફાશ કરતા સમગ્ર દાદરા નગર હવેલી સહિત આજુબાજુના ભંડારી સમાજ સ્તબ્ધ બન્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાનહનાખરડપાડા ખાતે રહેતા સુનિલ ભગવાનદાસ ભંડારી (ઉ.વ.45)નો એમના પરિવાર સાથે કોઈક કારણસર ઝઘડો થયા બાદ તેઓ અચાનક બેહોશ થઈ જતાં પરિવારના સભ્યો દ્વારા તેમને વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા. જ્યાં તેમનું મોત થયું હતું.
સવારે પોસ્ટમોર્ટમ કરાતા પ્રાથમિક રિપોર્ટમાં મૃતક સુનિલ ભગવાનદાસ ભંડારીનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું.
દરમિયાન સેલવાસ પોલીસના પી.એસ.આઈ. શ્રી પ્રદિપ રાજગોરે આ ઘટનામાં ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરી ઘરના સભ્યો અને મૃતકની પત્ની કિંજલ સુનિલ ભંડારી (ઉ.વ.34)ની સઘન પૂછપરછ કરતાં એમના ઘરના નજીક જ રહેતાં સની ભરતભાઈ ભંડારી (ઉ.વ.31)ની સાથે પ્રેમ પ્રકરણ ચાલતું હોવાનો ખુલાસો થયો હતો.
મળતી માહિતી પ્રમાણે મૃતક સુનિલ ભંડારીને પોતાની પત્ની કિંજલ અને સની વચ્ચે પ્રેમપ્રકરણ ચાલી રહ્યું હોવાની ભનક આવતાં એમના વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે કિંજલ અને તેણીના પ્રેમી સનીએ પોતાના રસ્તામાંથી કાંટો કાઢી નાંખવા સુનિલનું મોઢું અને ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. જ્યારે પરિવારના સભ્યોએ સુનિલને સવારે બેશુદ્ધ હાલતમાં જોતાં વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કરતાં પોસ્ટમોર્ટમકરાયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવતાં સેલવાસ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ કરતાં આરોપી (1)કિંજલ સુનિલ ભંડારી અને (2)સની ભરત ભંડારીની ધરપકડ કરી 2 સપ્ટેમ્બર સુધી પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.