દાનહના આદિવાસીઓની જમીન પડાવી લેવાના મુદ્દે પ્રશાસને અખત્યાર કરેલા કડક વલણથી લેન્ડમાફિયાઓમાં ફફડાટઃ આદિવાસીઓમાં વર્ષો બાદ જાગેલી ન્યાયની આશા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31 : દાદરા નગર હવેલીપ્રદેશ યુવક કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને અગ્રણી ઉદ્યોગપતિ કૌશિલ શાહની આદિવાસી સાથે છેતરપીંડી કરી જમીન પડાવી લેવાના મુદ્દે સેલવાસ પોલીસે ધરપકડ કરતાં ચકચાર ફેલાઈ જવા પામી છે. સંઘપ્રદેશ પ્રશાસને દાદરા નગર હવેલીના આદિવાસીઓના જમીનના મુદ્દે કરાયેલા શોષણ સામે અપનાવેલા કડક અખત્યારથી સફેદ પોશમાં ફરતા લેન્ડમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને આદિવાસીઓને વર્ષો બાદ ન્યાય મળશે એવી આશા મજબૂત બની છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ફરિયાદી અશોક રમેશ હળપતિની જમીન કૌશિલ શાહે ખરીદી તેની સામે ફિક્સ ડિપોઝિટ કરાવવાનું જણાવ્યું હતું. પરંતુ આરોપી કૌશિલ શાહ દ્વારા ફિક્સ ડિપોઝિટ નહીં કરાવાતા પોતાની જમીનના પૈસા માટે ફરિયાદી અશોક હળપતિએ પૂછપરછ ચાલુ રાખી હતી. પરંતુ કૌશિલ શાહે પૂછપરછનો કોઈ જવાબ નહીં આપી વાતને ટાળતા રહ્યા હતા. આ બાબતે અશોક હળપતિએ સેલવાસ મામલતદારને અગાઉ લેખિત ફરિયાદ પણ કરી હતી. પરંતુ તે સમયે કોઈ જ કાર્યવાહી થઈ નહીં હતી.
હાલમાં અશોક હળપતિએ ફરી રજૂઆત કરતાં મામલતદારની ટીમ દ્વારા બેંકની ડિટેઈલ ચેક કરાતા એમાં કોઈ જ ફિક્સ ડિપોઝિટ જમા કરાઈ નહીં હતી અને વારંવાર માંગણી કરવા છતાં પૈસા નહીં આપવામાં આવ્યા હતા. જેના અનુસંધાનમાં અશોક હળપતિનીફરિયાદના આધારે સેલવાસ પોલીસે આઈ.પી.સી.ની 420, 467, 468, 506 અને એટ્રોસિટી એક્ટની 3(1), (એફ), 3(2) કલમો અંતર્ગત ગુનો નોંધી કૌશિલ શાહની ધરપકડ કરી વધુ પૂછપરછ આરંભી છે.