Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

પિપરિયા પર હુમલો …તો દાદરા નગર હવેલીની રાજકીય દશા પણ કાશ્‍મીર જેવી જ થઈ હોત

સિલવાસામાં પોર્ટુગીઝોનો પરાજય થતાં જ ગોવા અને લિસ્‍બન રેડિયો તેમ જ દિલ્‍હી અને મુંબઈનાં કેટલાંક સમાચારપત્રોએ પણ ખ્રિસ્‍તી મિશનરીઓ પર હુમલો થયો છે, ચર્ચની ભાંગફોડ થઈ છે, ચર્ચમાં રહેલી ઈસુખ્રિસ્‍તની મૂર્તિ ઉખેડીને ત્‍યાં હિંદુ દેવી દેવતાની સ્‍થાપના કરી છે એવો અપ્રચાર ચાલુ કર્યો

(…ગતાંકથી ચાલુ)
પોર્ટુગીઝ સમાચાર પત્રોએ તો આ ઘટનાક્રમ દરમિયાન પહેલેથી જ ખૂબ હલકા સ્‍તરે ભારતવિરોધી પ્રચાર ચાલુ રાખ્‍યો હતો. તો ગોવા રેડિયોની કામગીરી પણ મોટી હતી. તે સમયે ગોવા અને સિલોન રેડિયો ચિત્રપટ સંગીત પ્રસારિત કરતા હોવાથી વધુ લોકો તેને સાંભળતા. બાકીના સમયમાં એ રેડિયો દ્વારા ગોવાના લોકો આનંદમાં છે, ત્‍યાં કોઈ અત્‍યાચાર કે જુલમ જબરદસ્‍તી નથી એવો આભાસી પ્રચાર થતો રહેતો. પણ તેની પ્રસારણ વ્‍યવસ્‍થા એટલી તત્‍પર હતી કે કોઈ ક્ષુલ્લક ઘટના બને તો પણ થોડાક કલાકમાં જ તેના સમાચાર રેડિયો પર પ્રસારિત થઈ જતા. સિલવાસામાં પોર્ટુગીઝોનો પરાજય થતાં જ ગોવા અને લિસ્‍બન રેડિયો તેમ જ દિલ્‍હી અને મુંબઈનાં કેટલાંક સમાચારપત્રોએ પણ ખ્રિસ્‍તી મિશનરીઓ પર હુમલો થયો છે, ચર્ચની ભાંગફોડ થઈ છે, ચર્ચમાં રહેલી ઈસુખ્રિસ્‍તની મૂર્તિઉખેડીને ત્‍યાં હિંદુ દેવી દેવતાની સ્‍થાપના કરી છે એવો અપ્રચાર ચાલુ કર્યો. આવા ભ્રામક પ્રચાર સાથે જ તેમણે પરિસ્‍થિતિનું નિરીક્ષણ કરવા યુનોના સભ્‍યોને પણ બોલાવવાનો આગ્રહ રાખ્‍યો હતો. આ પૂરા ઘટનાક્રમ દરમિયાન વડાપ્રધાન શ્રી નેહરૂએ ક્‍યારેય કોઈ પ્રતિક્રિયા વ્‍યક્‍ત કરી હોય એવો ઉલ્લેખ નથી પરંતુ ચર્ચ પર તથાકથિત હુમલો થવાના સમાચાર આવતાં તેમણે મી. પિન્‍ટો નામના એક વિશેષ તપાસ અધિકારીની નિમણૂક કરી અને કોઈ મિશનરીને પકડવામાં આવ્‍યા હોય તો તત્‍કાળ મુક્‍ત કરવા એવો આદેશ આપ્‍યો. આ સંગ્રામમાં આવશ્‍યક માહિતી મેળવવામાં સાથ આપનાર અને તેને માટે ઘણી દોડધામ કરનાર એક સ્‍થાનિક નાગરિક શ્રી રતનસિંહ પ્રથમસિંહ પરમારે 1998ના ભારતીય સ્‍વાતંત્ર્યની સુવર્ણજયંતિના અવસરે નોંધ્‍યું છે તે પ્રમાણે તેઓ પોતે તથા એમના પિતરાઈ ભાઈ બંનેએ એ તપાસ અધિકારીને દાદરા નગર હવેલીના છેક સીમા પર આવેલા દૂધની સુધીના આખા પ્રદેશમાં ફેરવીને બતાવ્‍યું હતું કે એ પ્રદેશનાં બધાં જ દેવળો સહીસલામત, સુરક્ષિત હતાં. એ સમયે તેનાં છાયાત્રિો લઈને તે દિલ્‍હી પણ મોકલવામાં આવ્‍યાં હતાં તથા અનેક સમાચારપત્રોમાં પણ પ્રકાશિત કરાયાં હતાં.
ઉપરાંત દાદરા નગર હવેલીના અગ્રગણ્‍ય નાગરિકોએ પણ આ હકીકત પંડિત નેહરૂ સુધી પહોંચાડી હતી.મિ. પિન્‍ટોના અહેવાલથી પણ પં. નેહરૂને સંતોષ થયો તેથી આ મામલો યુનોને સોંપવાની કરાયેલી માગણી તેમણે સ્‍વીકારી નહીં. તેમનું આ પગલું અતિ મહત્ત્વનું હતું. જો યુનોના સભ્‍યો આ બાબતની ચકાસણી કરવા આવ્‍યા હોત કે કોઈપણ રીતે આ મામલો યુનો સુધી પહોંચ્‍યો હોત તો ઘણી આંતરરાષ્‍ટ્રીય ગૂંચવણો કે સમસ્‍યાઓ ઉભી થઈ હોત. કદાચ દાદરા નગર હવેલીની રાજકીય દશા કાશ્‍મીર જેવી જ થઈ હોત.
પોર્ટુગીઝોની દૃષ્‍ટિએ અતિશય મહત્ત્વપૂર્ણ એવું સિલવાસાનું થાણું હાથમાં આવ્‍યું. પણ બે મુદ્દા હજુ અનુત્તરિત હતા. એક તો પોર્ટુગીઝોનો સંપૂર્ણ પરાજય થયો ન હતો. ફાલ્‍કાવ અને ફિદાલ્‍ગો તેમના અઢીસો સૈનિકો સાથે ખાનવેલ તરફ નાસી ગયા હતા. પણ એ બધા મુક્‍ત હતા ત્‍યાં સુધી અંતિમ વિજય પ્રાપ્ત થયો તેમ કહી શકાય નહીં. તે માટે હજુ ઘણું કામ કરવાનું બાકી હતું. બીજી મહત્ત્વની બાબત એ છે કે સ્‍થાનિક લોકોની પ્રતિક્રિયા હજુ સ્‍પષ્‍ટ થઈ ન હતી. ભારતીયોજના આ વિજયમાં સામેલ થવું કે નહીં એવી દ્વિધા તેમના મનમાં હતી. કાલે સવારે ફાલ્‍કાવ કે ફિદાલ્‍ગો વળતો હુમલો કરે તો એમનું દમનચક્ર ફરી શરૂ થઈ જાય એવી આશંકા તેમના મનમાં હોય એવી શક્‍યતા પણ હતી. આ સમસ્‍યાના નિરાકરણ માટે પહેલું કામ આ નવા સત્તાંતરને માન્‍યતા અપાવવાનું હતું. તે માટે સરકારીવકીલ, પોસ્‍ટમાસ્‍ટર અને ચર્ચના પાદરીને બોલાવવામાં આવ્‍યા. સાથે સાથે વાકણકરે પ્રત્‍યેક સૈનિકનો વ્‍યક્‍તિગત અભિપ્રાય પૂછવાની શરૂઆત કરી. સૈનિકોને તો શરણે થવામાં કોઈ આનાકાની ન હતી પણ પાદરી અને પોસ્‍ટમાસ્‍ટર સીધી રીતે માને તેમ લાગતું ન હતું.
પાદરીને બોલાવવા ગયેલા શ્રી બિંદુમાધવ જોષી, શિવરામ ઠુસે, માધવ નવલે, વસંત દેશપાંડે વગેરેએ વાત કરવાની શરૂઆત કરી. તેને સાચી પરિસ્‍થિતિનો ખ્‍યાલ આપી સાથે આવવા વિનંતી કરી. તેણે પણ શાંતિથી હું પ્રાર્થના કરીને તમારી સાથે આવું છું એમ કહ્યું. તેની પ્રાર્થના માટે તો કોઈને વાંધો ન હતો પરંતુ પ્રાર્થના કરવાને બહાને અંદર જઈને તેણે જોરથી ચર્ચનો ઘંટ વગાડવાની શરૂઆત કરી. તેની આ ક્રિયાથી તે કોઈ સંદેશો પાઠવતો હોય તેવી શંકાથી તેને તેમ કરતો રોકવામાં અને ત્‍યાંથી દૂર કરવામાં થોડી મારપીટ થઈ ગઈ.

(ક્રમશઃ)

Related posts

સેલવાસ નગરપાલિકાના સીઓ તરીકે ચાર્મી પારેખે સંભાળ્‍યો ચાર્જ

vartmanpravah

ચીખલીના સોલધરા ગામે દીપડાએ એક બકરી અને બકરાને ફાડી ખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

ઈ.સ. 1772માં જાનોજી ધુળપના મરાઠી નૌકા કાફલાએ પોર્ટુગીઝોનું 40 તોપો અને 120 ખલાસી સૈનિકો સાથેનું સંતાના જહાજ જપ્ત કરી લીધું

vartmanpravah

સરકારી અનાજના ગોડાઉન ઉપર અનાજનો જથ્‍થો નહીં આવતા નવસારી જિલ્લામાં હજારો રેશનકાર્ડ ધારકો છેલ્લા પાંચ માસથી તુવેરદાળથી વંચિત

vartmanpravah

વલસાડ તા.પં.ની આજે ગુરુવારે સામાન્‍યસભા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ અંતર્ગત મંગળવારથી બે દિવસ માટે દમણના કોળી સમાજના હોલમાં વાણિજ્ય ઉત્સવ(ઍક્સ્પો)નું આયોજન

vartmanpravah

Leave a Comment