(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ તા. 01: વર્તમાન સમયમાં વિદ્યાર્થી-વાલીઓ અને શિક્ષકોના મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે અને અભ્યાસને લગતી દરેક સમસ્યા માટે વલસાડ તાલુકાના દાંડી ગામમાં આવેલી વી.એફ એન્ડ ડી. બી. ટંડેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ‘‘જીવન કૌશલ્ય’’ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં મોટીવેશનલ સ્પીકર રાજ ચૌહાણે વિદ્યાર્થીઓને વ્યક્તિત્વ કૌશલ્ય, નિર્ણયશક્તિ, સ્મરણ શક્તિ અને અવલોકન શક્તિ જાગૃત કરવાની વિશેષ સમજ આપી હતી. વધુમાં વિદ્યાર્થીઓએ વિશ્વાસ કેવી રીતે કેળવવો, જીવનમાં શું કરવા માંગો છો? સ્કૂલમાં શા માટે આવો છો? તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ સિવાય યાદશક્તિ અને જીવનમાં ધ્યાન કરવાનું મહત્વ પણ સમજાવ્યું હતું. શું આપનું બાળક શાળામાં અભ્યાસથી ગભરાય છે? શું આપના બાળકને એક્ઝામ ફોબિયા છે? શું બાળકોની યાદશક્તિ ઘટી ગઇ છે? શું બાળકોની ગ્રહણ શક્તિ નબળી પડી ગઈ છે? શું બાળકોને શોર્ટ ટર્મ મેમરી પ્રોબલમ છે? આપનું બાળક અભ્યાસને લઈને લઘુતાગ્રંથિથી પીડાય છે? બાળક એકલપણાથી પીડાય અને સગાવહાલા અને સામાજીક પ્રવૃત્તિથી દુર રહે છે? વાલીઓની બાળકો પર વધુ પડતી અપેક્ષા, શું વાલીઓ પોતાના બાળકોના અભ્યાસને પોતાનું સ્ટેટસ સિમ્બોલ ગણે છે? આવા અનેક પ્રશ્નોના જવાબ મોટીવેશનલ સ્પીકર રાજ ચૌહાણે આપી મૂંઝવણો દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ સેમિનારનો શાળાના ધો. ૧૧ અને ૧૨ના કુલ ૩૦૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લાભ લીધો હતો. સ્વાગત પ્રવચન શાળાના મદદનીશ નિતેશભાઈ ટી. ગામિતે કર્યુ હતું. જ્યારે આભારવિધિ શાળાના આચાર્ય નરેશભાઈ સી. ટંડેલે કરી હતી.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2023/09/Dangi-Seminar-2.jpg)