11 લાખના સોનાના દાગીના અને રોકડ દસ હજાર રૂપિયા ચોરાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: દાદરા નગર હવેલીના નરોલી ગામના હવેલી ફળિયામાં મોડી રાત્રે ચોરટાઓએ ભાડુઆત તરીકેરહેતા અને કોઈક કામ અર્થે બહારગામ ગયેલા પરિવારના ઘરનું તાળુ તોડી ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. ઘરમાં રહેતા ભાડુઆત પરત આવતા પોલીસે પૂછપરછ કરતા સોનાના દાગીના અને રોકડ રકમ ચોરી થઈ હોવાની જાણકારી આપી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર દાદરા નગર હવેલીના નરોલી ગામના હવેલી ફળિયામાં મહેશભાઈ ચૌહાણના બંગલામાં રમણભાઈ પ્રજાપતિ એમના પરિવાર સાથે ભાડેથી રહે છે, જેઓ તેમના કોઈક કામ અર્થે બહારગામ ફરવા ગયેલ હોય તે દરમ્યાન મોડી રાત્રે ચોરટાઓ એમના બંગલાનું તાળુ તોડી અંદરથી માલસામાન ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ નરોલી આઉટપોસ્ટમાં કરાતા થાણા પી.એસ.આઈ. શ્રી સુરજ રાઉત અને તેમની ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસે ઘરમાં રહેતા રમણભાઈને ટેલીફોનીક જાણ કરી હતી. જેઓ પરત આવ્યા બાદ ઘરમાં વધુ તપાસ કરતા કબાટમાં મુકવામાં આવેલ સોનાના દાગીના જેની અંદાજીત કિંમત રૂા.11 લાખ અને રોકડા રૂા.10 હજારની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ નરોલી પોલીસ કરી રહીછે.