સ્પર્ધા દરમિયાન દશરથ સ્પોર્ટ્સ એકેડેમી પસંદ કરાયેલા પ્રતિભાવાન 4 સ્પર્ધકો શ્રુતિ મોર્યા, પુષ્પા યાદવ, કરણ ગોગરે અને શિવ પ્રસાદને અગ્નિવીર માટે મફત તાલીમ આપશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : દેશના રમત-ગમત મંત્રાલયના યુવા બાબતોના આદેશ મુજબ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં દાનહ ભારત સ્કાઉટ ગાઈડે દશરથ સ્પોર્ટ્સ એકેડેમીની મદદથી દાનહ ભારત સ્કાઉટ ગાઈડ પ્રદેશ આયોજક કમિશનર સ્કાઉટ સુધાંશુ શેખર દ્વારા પ્રદેશ મુખ્યાલય ડોકમર્ડી ખાતે વિવિધ રમતોની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં તમામ મહિલા અને પુરુષ શ્રેણીમાં 14 વર્ષથી ઓછી વયના અનેસામાન્ય શ્રેણીમાં કબડ્ડી, 10 મીટર, 200 મીટર, 100×4 રિલે દોડ, પગ અવરોધ દોડ, ત્રણ પગની દોડ અને લીંબુચમચી દોડ વગેરે બાળકોના મનોબળને વધારતી અને શારીરિક વિકાસ માટે ઉપયોગી એવી તમામ સ્પર્ધાઓમાં કુલ 277 પુરૂષ અને મહિલા શ્રેણીના ખેલાડીઓએ ભાગ લીધો હતો.
દાનહ જિલ્લા પંચાયતના શિક્ષણ અધિકારી શ્રી જયેશ ભંડારીએ રમત-ગમત સંયોજક અધિકારી શ્રી ઝાકરિયા કાકવા, મદદનીશ શિક્ષણ કમિશનર સ્કાઉટ દાનહ ભારત સ્કાઉટ ગાઈડ અને મનજીત સિંહ દશરથ સ્પોર્ટ્સ એકેડેમી મદદનીશની સાથે સાથે સ્વયં દશરથ રાજપૂતે તમામ સ્પર્ધાઓનું આયોજન સફળતાપૂર્વક કર્યું હતું.
અત્રે આયોજીત રમત-ગમત સ્પર્ધાઓનો પ્રારંભ બપોરે 3:00 વાગ્યાથી કરવામાં આવ્યો હતો જેની પૂર્ણાહૂતિ રાત્રિના 10 વાગ્યા સુધીમાં સંપન્ન કરવામાં આવી હતી. વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તમામ સ્પર્ધકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ ક્રમ સુધી સ્વર્ણ, રજત અને કાંસ્ય પદકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કબડ્ડીની ઓપન સ્પર્ધામાં પુરૂષ અને મહિલા શ્રેણીમાં સેલવાસ વોરિયર્સ અને 14 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં ટીમ 7 દશરથ સ્પોર્ટ્સ એકેડેમીની ટીમ વિજેતા બની હતી. જેમાં વિજેતા ટીમને ટ્રોફી અને તમામ 277 ખેલાડીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિતકરવામાં આવ્યા હતા.
સ્પર્ધાઓના નિર્ણાયકો તરીકે ભારતી તવર, ધર્મિષ્ઠા સોલંકી અને રાહુલ શાહે મહત્વની સેવા આપી હતી. જે બદલ તેઓને પ્રદેશ સચિવ સર્મિષ્ઠા દેસાઈએ સન્માનિત કરવામાં આવ્યા હતા અને સફળ આયોજનના સંચાલક સંયોગિતા સિંહ, મહિમા મિશ્રા, વીરેન પટેલ, પંકજ સોની અને આદર્શ સિંહને પણ પીન બેજ ભેટ આપી સન્માનિત કરાયા હતા.
સ્પર્ધામાં આકર્ષણનું કેન્દ્ર રહેલા દશરથ સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા પસંદ કરાયેલા 4 સ્પર્ધકો શ્રુતિ મોર્યા, પુષ્પા યાદવ, કરણ ગોગરે અને શિવ પ્રસાદની વધુ પ્રતિભાશાળી ખેલાડીઓના રૂપમાં પસંદગી કરવામાં આવી હતી. જેઓને અગ્નિવીર માટે મફત તાલીમ આપવામાં આવશે. તમામ પસંદગી પામેલા ખેલાડીઓએ પોતાની ખુશી જાહેર કરતા દશરથ સ્પોર્ટ્સ એકેડેમીનો આભાર માન્યો હતો.