(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.15: ઉમરગામ પાલિકાની આજરોજ મળેલી ખાસ સામાન્ય સભામાં બાકી રહેલા અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સ્પષ્ટ બહુમતી ધરાવતી ભાજપા શાસિત પાલિકામાં પ્રદેશના મેન્ડેડ મુજબ પ્રમુખ તરીકે શ્રી મનીષભાઈ રાય અને ઉપ પ્રમુખ તરીકે શ્રીમતી જયશ્રીબેન માછીએ ઉમેદવારી રજૂ કરી હતી. જેમની સામે વિરોધ પક્ષમાંથી દાવેવારી ન નોંધાવતા બંને ઉમેદવારને ચૂંટણી નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહેલા પ્રાંત અધિકારી શ્રી વસાવાએ બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. બિનહરીફ વિજેતા બનેલા બંને ઉમેદવારના સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. આ ઉપરાંત ઉમરગામ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપ પ્રમુખ સહિત વધુ ત્રણ હોદ્દા ઉપર નિયુક્તિ માટે મેન્ડેડ મુજબ પક્ષના આગેવાનોએ ત્રણ નામોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કારોબારી અધ્યક્ષ તરીકે શ્રી અંકુશભાઈ કામળી, શાસક પક્ષના નેતા તરીકે શ્રી રાજાભાઈ ભરવાડ, અને દંડક તરીકે શ્રી કિરણભાઈ વારલીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપના સ્થાનિક આગેવાન શ્રી ટીનુભાઈ બારી, શ્રીમતી જશુમતીબેન દાંડેકર વગેરેની ઉપસ્થિતિ જોવા મળીહતી.