સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના 7મા વર્ષના કાર્યકાળનો આવતી કાલથી આરંભ થઈ રહ્યો છે. ગત 6 વર્ષમાં પ્રશાસક તરીકે તેમણે કરેલા માઈક્રો સ્તરના આયોજન અને તેના સફળ કાર્યાન્વયન માટે રાત-દિવસ કરેલી તપસ્યાના પરિણામ સ્વરૂપે આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવની ગણતરી એક વિકસિત પ્રદેશ તરીકે થવા લાગી છે. જેના મૂળમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની કાર્યનિષ્ઠા અને તેમણે કરેલી પ્રદેશનીપરખ છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં માતાના ગર્ભમાં રહેલા બાળકથી માંડી પ્રસૂતિથી લઈ બાળક બાલ મંદિર જતુ થાય અને શાળામાં પ્રવેશ કરે ત્યાં સુધીની જ ચિંતા પ્રશાસને નથી કરી, પરંતુ બાળકનું ભવિષ્ય પણ સુદૃઢ બને તે માટેની તમામ વ્યવસ્થા પ્રશાસને કરી છે. આ પ્રકારની સગવડ-સુવિધા અને વ્યવસ્થા દેશના અન્ય રાજ્યો કે પ્રદેશમાં હોવાની સંભાવના લગભગ નહીંવત છે.
આરોગ્ય, શિક્ષણ અને ધંધા-રોજગારની કાળજી પણ વર્તમાન પ્રશાસન દ્વારા લેવામાં આવી રહી છે. સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના પહેલા દિવસના કાર્યકાળ દરમિયાન જ શ્રેષ્ઠ પ્રદેશ બનાવવા આપેલા કોલનું ફક્ત અક્ષરશઃ પાલન જ નથી થયું પરંતુ 6 વર્ષ બાદ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અતિ શ્રેષ્ઠ પ્રદેશ બની ચુક્યો છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને અહીં વિધાનસભા પણ નથી. તેથી સંઘપ્રદેશના પ્રશાસકે પ્રદેશના વહીવટકર્તાની સાથે સાથે પ્રદેશના મુખ્યમંત્રી તરીકે પણ પોતાની જવાબદારી નિભાવવી પડે છે. શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રદેશના ઉત્તમ વહીવટકર્તાની સાથે લોકાભિમુખ મુખ્યમંત્રી તરીકેની પણ પોતાની એક આગવી છાપ છોડી છે. કારણ કે, પ્રશાસક તરીકે તેમણે કેન્દ્રના દાયરામાં રહીને કામ કરવાનું રહે છે. જ્યારે મુખ્યમંત્રીતરીકે પોતાની વગ અને સંપર્કનો ઉપયોગ કરી પ્રદેશના લોકોનું કલ્યાણ કેવી રીતે થઈ શકે તેના ઉપર ધ્યાન આપવાનું રહે છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં અમલમાં આવેલી અનેક વિકાસ યોજનાઓમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અંગત સંબંધ અને સંપર્કોનો મુખ્ય ફાળો રહ્યો છે.
આજે પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના 6 વર્ષ પૂર્ણ થયા છે પરંતુ હજુ પણ તેઓ થોડા વધુ વર્ષ પ્રદેશના પ્રશાસક તરીકે રહેવા જોઈએ એવી વ્યાપક લોક લાગણી છે. આ પ્રદેશ શ્રી પ્રફુલભાઈ પટેલની ક્ષમતા સામે ખુબ નાનો છે. પરંતુ તેમણે લીધેલી માવજત અને થયેલા બેનમૂન વિકાસના કારણે અન્ય મોટા પ્રદેશો અને રાજ્યો પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવની ઈર્ષ્યા કરે એ પ્રકારની સ્થિતિ પેદા થઈ છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના ભાગ્ય પરિવર્તન પાછળ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિનો ફાળો પણ ખુબ મોટો રહ્યો છે. આજે સંઘપ્રદેશના ભાગ્યવિધાતા બનેલા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કાર્યકાળના 7મા વર્ષના પ્રવેશ ટાણે વર્તમાન પ્રવાહ પરમ કૃપાળુ પરમાત્મા પાસે એવી પ્રાર્થના કરે છે કે પ્રભુ તમને લોક સેવા માટે ખુબ શક્તિ અને સામર્થ્ય આપે અને તમારી યશકિર્તી વધુ ને વધુ ચોમેર પ્રસરે એવી અંતરદિલથી પ્રાર્થના.