સેલવાસના કલા કેન્દ્ર ઓડિટોરિયમ ખાતે સમગ્ર શિક્ષા અંતર્ગત યોજાયેલ બે દિવસીય કલા ઉત્સવ સ્પર્ધામાં વિવિધ વિદ્યાલયના વિદ્યાર્થી કલાકારોએ સંગીત, નૃત્ય અને દૃશ્ય કળા જેવી વિવિધ સ્પર્ધાઓમાં પોતાની કળાનું કરેલું આગવું પ્રદર્શન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28 : ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના દિશા-નિર્દેશ મુજબ દર વર્ષે ‘કલા ઉત્સવની સ્પર્ધા’નું વિવિધ સ્તરે આયોજન કરવામાં આવે છે. જેની કડીમાં ‘કલા ઉત્સવ-2023’ની જિલ્લા સ્તરીય સ્પર્ધાનું આયોજન દાદરા નગર હવેલી જિલ્લાની વિવિધમાધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે સેલવાસના કલા કેન્દ્રના ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું. બે દિવસીય કલા ઉત્સવ સ્પર્ધાના આયોજનમાં વિવિધ શાળાના વિદ્યાર્થી કલાકારોએ સંગીત, નૃત્ય અને દૃશ્ય કલા જેવી વિવિધ સ્પર્ધાઓમાં પોતાની કલા પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.
‘કલા ઉત્સવ સ્પર્ધા’નો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં નિહિત કલા પ્રતિભાનું સંવર્ધન કરવાનો છે. ‘કલા ઉત્સવ સ્પર્ધા’ના આજે બીજા દિવસે સ્પર્ધાઓમાં વિજેતા તમામ કલાકારોને સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક શ્રી જતીન ગોયલના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શિક્ષણ નિર્દેશક શ્રી જતીન ગોયલે જિલ્લા સ્તરીય કલા ઉત્સવની સ્પર્ધાઓમાં વિજેતા કલાકારોને સંઘપ્રદેશ સ્તરીય સ્પર્ધાઓ માટે શુભકામના આપી હપી. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા સ્તરીય કલા ઉત્સવની સ્પર્ધામાં વિજેતા કલાકારો હવે આગલા સપ્તાહે આયોજીત થનારી સંઘપ્રદેશ સ્તરીય કલા ઉત્સવની સ્પર્ધામાં ભાગ લેશે. જેમાં સર્વશ્રેષ્ઠ કલાનું પ્રદર્શન કરનારા કલાકારોને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લેવાનો અવસર મળશે.
આજે ‘કલા ઉત્સવ સ્પર્ધા’ના સમાપન સમારોહના અવસરે શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા દ્વારા તમામ વિજેતા કલાકાર વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા અને સંઘપ્રદેશ સ્તરીયસ્પર્ધા માટે શુભકામના પાઠવી હતી.
જિલ્લા સ્તરીય ‘કલા ઉત્સવ સ્પર્ધા’નું આયોજન સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ શિક્ષણ સચિવ શ્રી ટી.અરૂણ શિક્ષણ નિર્દેશક શ્રી જતીન ગોયલના સફળ માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું.