પૈપ સ્મિયર(ગર્ભાશય થેલી) અને મેમેગ્રાફી(સ્તન કેન્સર)ના પરિક્ષણ માટેના વિવિધ ઉપકરણોથી સુસજ્જિત કેન્સર નિદાન વાન દ્વારા ઘરઆંગણે નિઃશુલ્ક થતી કેન્સરની તપાસ
ગભરાશો નહીં, આગળ આવી મફત તપાસ કરાવો, જેથી સમયસર નિદાન થવાથી મળતી સારવારના કારણે કેન્સરને હરાવી શકાય છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં આજે દાદરા પંચાયતના કોમ્યુનિટી હોલમાં દાનહ જિલ્લા પ્રશાસન અને સામાજિક સંસ્થા રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલીના સહયોગથી મહિલાઓ માટે વિશેષ પૈપ સ્મિયર(ગર્ભાશય થેલી) અને મેમોગ્રાફી(સ્તન કેન્સર)ના નિદાન શિબિરનું મહિલા નિષ્ણાત ચિકિત્સક દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૈપ સ્મિયર(ગર્ભાશય થેલી) અને મેમેગ્રાફી(સ્તન કેન્સર)ના પરિક્ષણ માટેના વિવિધ ઉપકરણોથી સુસજ્જિત કેન્સર નિદાન વાન દ્વારા ઘરઆંગણેનિઃશુલ્ક કેન્સર તપાસ શિબિરનું આયોજન પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું છે.
અત્રે યાદ રહે કે, મહિલાઓમાં ગર્ભાશય થેલી અને સ્તન કેન્સરનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું હોવાનું પણ ધ્યાનમાં આવી રહ્યું છે. આ કેન્સરના રોગનું જેટલું વહેલું નિદાન થાય તેટલી ઝડપી સારવારથી આ રોગને વકરતો અટકાવી શકાતો હોવાથી આ બિમારીમાંથી સારા થવાની સંભાવના સો ટકા રહેતી હોય છે. તેથી સંઘપ્રદેશ પ્રશાસને રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલીના સહયોગથી વિવિધ પંચાયત વિસ્તારના દ્વારે આ નિદાન કેમ્પનું આયોજન કરી ખરેખર મોટી માનવસેવા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ત્રણ દિવસ ચાલનારી શિબિરમાં આવતી કાલ તા.19મી સપ્ટેમ્બરના રોજ ખાનવેલ ગ્રામ પંચાયતમાં યોજાશે. દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસને તમામ મહિલાઓને આ શિબિરનો વધુમાં વધુ લાભ ઉઠાવવા અપીલ કરી છે.