(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.02: સરીગામ પંચાયત દ્વારા આજરોજ ખાસ સામાન્ય સભા સાથે સરીગામને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે એક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક ઉપર સરકારશ્રીએ બનાવેલા કાયદા પાલન કરાવવામાં નિષ્ફળ ગયેલા જવાબદાર વિભાગને સરીગામ પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત અને એમની ટીમ દ્વારા કરવામાં આવીરહેલા મદદના પ્રયાસની સરીગામની જનતામાં નોંધ લેવામાં આવી છે.
આ પ્રસંગે પંચાયત દ્વારા એક કંપની દ્વારા ડોનેટ કરવામાં આવેલી કાપડની થેલીઓની વહેંચણી કરી પ્લાસ્ટિકની થેલીઓ વપરાશમાં નહીં લેવામાં આવે એવી સૂચનાઓ આપવામાં આવી હતી. હવે સરીગામના શિક્ષિત અને જાગૃત સરપંચની જાગૃત પ્રજા આ સૂચનાનો અમલ કેટલા અંશે કરશે એ તો આવનાર સમય જ બતાવશે. પરંતુ હાલમાં પ્રજામાં પ્રદૂષણના મુદ્દે ભયનું વાતાવરણ ફેલાયેલું છે. સરીગામની વેમ પેટ્રો કેમ કંપનીની હોનારતની દર્દનાક ભોગ લેનારી ઘટેલી ઘટના અને એનો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં રજૂ થયેલો તપાસ અહેવાલ પછી સરીગામની જનતા અસુરક્ષિત હોવાનું અનુભવી રહી છે.
સરીગામ જીઆઈડીસીમાં અને સરીગામ પંચાયત હદમાં કાર્યરત કંપનીઓનુ નિયમ ઉલ્લંઘન કરવાની નીતિ અને એમના દ્વારા ફેલાવવા આવતું વાયુ, ધ્વનિ અને પ્રવાહી પ્રદૂષણ પર અંકુશ આવી શકયો નથી. હાલમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં સરીગામની કેટલીક કંપનીઓ સામે તપાસ ચાલી રહી છે. એન્વાયરમેન્ટની મંજૂરી રીન્યુ કરવા વગર ચાલતી કંપની સામે સવાલ ઉભો થતાં એનજીટીએ જીપીસીપી પાસે આ કંપનીનું બાય પ્રોડક્ટ હેઝાર્ડ કે નોન હેઝાર્ડ છે એનો રિપોર્ટ રજૂ કરવા માટે બે અઠવાડિયાની મુદ્દત આપી હતી.હવે આ રિપોર્ટ જીપીસીપી દ્વારા રજુ કરવામાં આવ્યું છે કે નહીં એની જાણકારી પ્રાપ્ત થઈ નથી પરંતુ કંપનીઓને જવાબદાર વિભાગ અને આગેવાનો દ્વારા પીઠબળ પૂરું પાડવામાં આવી રહ્યું છે અને જેનું પરિણામ સરીગામની જનતા ભોગવી રહી હોવાનું સામે આવી રહ્યું છે. આ મુદ્દે સરીગામના જિલ્લા પંચાયતના સભ્ય શ્રી દિપકભાઈ મિષાીએ પણ નોંધ લેવાની જરૂર છે.