(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.29: સરકાર દ્વારા ગત વર્ષે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનાની જાહેરાત કરાઈ હતી. જેમાં ધોરણ-8 માંથી ધોરણ-9 માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને 12-ધોરણ સુધી શિષ્યવૃતિ આપવાની જોગવાઈ હોય મોટી સંખ્યામાં ધોરણ-8 ના વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી પરીક્ષા આપવામાં આવી હતી. હાલે આ યોજના અંતર્ગત લાભ મેળવવા પાત્ર વિદ્યાર્થીઓનું પ્રાથમિક મેરીટ લિસ્ટ પોર્ટલ પર મૂકી દેવામાં આવ્યું છે. અને આ માટે જિલ્લા દીઠ અધિકારીઓની મદદ માટે નિમણૂક પણ કરી દેવામાં આવી છે. સાથે વિદ્યાર્થીઓની બેન્ક ડિટેઇલ સહિત તા.30/09/23 સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની સૂચના આપવામાં આવી છે.
હકીકતમાં 6-જૂનના રોજ શાળાનું નવું સત્ર શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓએ જે તે શાળામાં પ્રવેશ લઈ લીધો હોય તેવામાં આ યોજનાના ઠરાવમાં ગ્રાન્ટેડ કે નોન ગ્રાન્ટેડ શાળાનું બોર્ડનું પરિણામ 80-ટકા કે તેથી વધુ હોય તેવી શાળામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને જ શિષ્યવૃતિ મળવા પાત્ર હોવાની જોગવાઈ હોય અનેક પરીક્ષા આપનાર,મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓ લાભથી વંચિત રહી જાય તેવી સ્થિતિ સર્જવા પામી છે. હકીકતમાં આ જોગવાઈ અંગે શરૂઆતથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓને વાકેફ કરવા જોઈતા હતા. જોકે બોર્ડનું 80-ટકા પરિણામની સરકારી શાળાઓમાં બાધ નથી. પરંતુ આવી શાળાઓની સંખ્યા ખૂબ ઓછી છે. વધારે શાળા તો ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ જ છે. તેવા સંજોગોમાં બોર્ડના 80-ટકા પરિણામ વાળી જોગવાઈનો ખુબ ઓછા વિદ્યાર્થીઓને લાભ મળશે તે વાત નક્કી છે. આ ઉપરાંત અનેક આંટી ઘુંટી વાળી જોગવાઈ હોય મહત્તમ વિદ્યાર્થીઓને લાભ મળવાની શકયતા નહિવત જણાઈ છે.
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનામાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 9 થી 12 ધોરણમાં પાંચથી છ હજારની ખાનગી સેલ્ફ ફાઈનાન્સ શાળાઓમાં 22 થી 25 હજાર રૂપિયા સુધીની શિષ્યવૃત્તિની જોગવાઈ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
ડીઈઓ ડો.રાજશ્રી ટંડેલના જણાવ્યાનુસાર મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનામાં પ્રારંભિક મેરીટ યાદી પોર્ટલ પર મુકવામાં આવી છે. શિષ્યવૃત્તિના લાભ માટે ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાનું બોર્ડનું પરિણામ 80-ટકા કે વધુ હોવું જોઈએ તે જોગવાઈ ઠરાવમાં પહેલાથી જ છે. જિલ્લામાં શિષ્યવૃતિ મળવા પાત્ર 834-જેટલા વિદ્યાર્થીઓછે.