બાકી રહેલા કામો તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે મંત્રીની અધિકારીઓને તાકીદઃ વિલ્સન હિલ, શંકર ધોધ અને દિનબારી ફળિયાના ધોધ પાસે પર્યટકો માટે સુવિધા ઉપલબ્ધ કરાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.29: વલસાડ કલેકટરાલય ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને વન-પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંગેની બેઠક મળી હતી. જેમાં વર્ષ 2023-24માં વલસાડ જિલ્લાના આદિજાતિ વિસ્તારના કુલ 728કામો માટે કુલ રૂા.3203.18 લાખની સૂચિત જોગવાઈને મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં મંત્રીએ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ, ધારાસભ્ય રમણલાલ પાટકર, જીતુભાઈ ચૌધરી, ભરતભાઈ પટેલ અને અરવિંદભાઈ પટેલ, જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતના પ્રમુખઓ, જિલ્લા આદિજાતિ વિકાસ મંડળમાં સરકાર તરફથી નિમાયેલા સભ્યો તેમજ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે જોગવાઈ સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું.
જેમાં કુલ 22 સદર પૈકી પાક કળષિમાં આદિજાતિના લાભાર્થીઓ માટે કુલ 64 કામ માટે રૂા.433.94 લાખ, હોર્ટિકલ્ચરમાં ફ્રૂટ કલેકશન માટે પ્લાસ્ટીક કેરેટ આપવાની યોજના હેઠળ 7 કામ માટે રૂા.11 હજાર, પશુપાલન માટે આદિજાતિ લાભાર્થીઓને 21 કામ માટે રૂા.159.28 લાખ, ડેરી વિકાસ માટેના 14 કામો માટે રૂા.20.95 લાખ, મત્સ્યોદ્યોગમાં 7 કામ માટે રૂા.11 હજાર, વન નિર્માણમાં 7 કામ માટે રૂા.8.10 લાખ, સહકારમાં દૂધ મંડળીઓને ટ્રેવીસ આપવાની યોજનામાં 7 કામ માટે રૂા.6.35 લાખ, ગ્રામ વિકાસમાં રસ્તાના 83 કામો માટે રૂા.256.13 લાખ, નાની સિંચાઈમાં 42 કામ માટે રૂા.487.92 લાખ, પ્રવાસન સ્થળ વિલ્સન હિલ અને વાઘવળના શંકર ધોધ પાસે શૌચાલય,કપરાડાના દિનબારી ફળિયામાં ધોધ પાસે વન કુટીર અને શૌચાલય તેમજ આદિજાતિ વિસ્તારમાં આવેલા પ્રવાસન કેન્દ્રો, હાટ બજાર અને પીએચસીના સ્થળે ટોઈલેટ, બાકડા, વન કુટીર, લાઈટ અને કચરાપેટીના 9 કામ માટે રૂા.32.81 લાખ, વીજળી શક્તિ માટે કાકડકુવા, મરલા અને રાબડા ગામમાં સ્ટ્રીટ લાઈટ અને બસ સ્ટોપ, પીએચસી, સીએચસી, સબ સેન્ટર, પંચાયત ચોક પર સ્ટ્રીટ લાઈટ અને પીએચસી સેન્ટર પર ઈન્વર્ટર આપવાની યોજનાના કુલ 7 કામ માટે રૂા.11.64 લાખ, ગ્રામ્ય અને લઘુ ઉદ્યોગના 14 કામ માટે રૂા.169.03 લાખ, માર્ગ અને પુલના 103 કામ માટે રૂા.338.69 લાખ, નાગરિક પુરવઠાના 7 કામ માટે રૂા.4.76 લાખ, સામાન્ય શિક્ષણમાં પ્રા.શાળા અને આશ્રમશાળામાં કન્યા અને કુમાર ટોઈલેટ, બ્લોક, શાળાના મકાન પર પતરાનો શેડ, ઓરડા, કંપાઉન્ડ વોલ અને લાઈબ્રેરી/બાલવાટીકા બનાવવાના 78 કામ માટે 469.22 લાખની જોગવાઈ કરાઈ છે. તાંત્રિક શિક્ષણમાં સ્વરોજગાર તાલીમ, સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ અને સાધન સહાયના કુલ 35 કામ માટે રૂા.31.77 લાખ, જાહેર આરોગ્ય અને તબીબી યોજના હેઠળ કુલ 37 કામ માટે રૂા.139.92 લાખ, પાણી પુરવઠા અને મુડી ખર્ચ યોજના હેઠળ 7 કામ માટે રૂા.10.58 લાખ, અનુસૂચિત જન જાતિ અને પછાત વર્ગના કલ્યાણના 23 કામ માટેરૂા.209.56 લાખ, શ્રમ અને રોજગારના 35 કામ માટે રૂા.27.25 લાખ, પોષણ યોજનાના 18 કામ માટે રૂા.174.17 લાખ અને મધ્યાહન ભોજન યોજનાના 103 કામ માટે રૂા.210.89 લાખની જોગવાઈ કરવામાં આવી હતી. આ સિવાય વલસાડના છુટા છવાયા 4 ટકા વિસ્તારના 14 કામ માટે રૂા.32.95 લાખની જોગવાઈ કરાઈ હતી.બેઠકમાં વર્ષ 2020-21, 2021-22 અને 2022-23ના વર્ષ દરમિયાન મંજૂર થયેલા કામોમાં થયેલા ફેરફારના કામોની મંજૂરીની બહાલી તથા સ્પીલ ઓવરના કામોને મંજૂરી આપવામાં આવી હતી. વર્ષ 2022-23 દરમિયાન ન્યુ. ગુજરાત પેટર્ન યોજના હેઠળ મંજૂર થયેલા બાકી કામોની મંત્રી મુકેશભાઈ પટેલે સમીક્ષા કરી બાકી રહેલા કામો તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આ સિવાય જે કામ હાલમાં ચાલી રહ્યા છે તેની પણ સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. સ્વાગત પ્રવચન અને આભારવિધિ તેમજ બેઠકની રૂપરેખા પ્રાયોજના વહીવટદાર અતિરાગ ચપલોતે આપી હતી.