જમીન સંપાદન અધિનિયમ 2013ને ધ્યાને લેવાય : ગ્રામસભાના ઠરાવ તથા હયાત રસ્તો જ પહોળો કરવા જેવી માંગ કરાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: વલસાડમાં આજે મંગળવારે નેશનલ હાઈવે નં.56 વાપીથી શામળાજી સુધીના હાઈવે માટે થનાર જમીન સંપાદનના વિરોધમાં અસરગ્રસ્ત ખેડૂતો અને આગેવાનો, ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
વાસદાના ધારાસભ્ય અનંત પટેલના નેતૃત્વમાંઆજે હાઈવે નં.56 માટે સંપાદિત થનાર જમીન માટે વિરોધ કરવામાં આવ્યો હતો. અસગ્રસ્ત ખેડૂતોની માંગણી હતી કે જમીન સંપાદન અધિનિયમ 2013ને ધ્યાને લેવાય તેમજ ગ્રામસભાના ઠરાવો માન્ય રાખવા તેમજ હયાત રસ્તાને પહોળો કરવો તે માટે નવું એલાજમેન્ટ રદ્દ કરવું જેવી માંગણીઓ સાથે અસરગ્રસ્ત ખેડૂતો, આગેવાનો, પૂર્વ સાંસદ કિશન પટેલ અને ગ્રામજનો મોટી સંખ્યામાં વલસાડ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. પરંતુ ઓફિસમાં એન્ટ્રી અપાઈ નહોતી તેથી લોકો કલાકો સુધી કચેરીની બહાર બેસી રહેલા, બાદમાં માત્ર 20 થી 25 જણને એન્ટ્રી અપાઈ હતી અને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.