(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ગત 13મી સપ્ટેમ્બરના રોજ સેલવાસ ખાતેથી ‘આયુષ્યમાન ભવઃ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.
‘આયુષ્યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત દાદરા નગર હવેલીમાં ચાલી રહેલ સેવાકીય પ્રવૃત્તિઓની સમીક્ષા માટે કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના સચિવ ડૉ. વિપુલ અગરવાલે શનિવારે મુલાકાત લીધી હતી. તેમણે નમો મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ ઇન્સ્ટીટ્યુટની મુલાકાત લીધી હતી. દરમિયાન સંસ્થામાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ સંસ્થાના પરિસરમા 860 વિદ્યાર્થીઓની ભાગીદારી સાથે સ્વૈચ્છિક ‘અંગદાન’ માટે પ્રતિજ્ઞા લેવામાં આવી. આ પ્રસંગે રક્તદાન શિબિરનું પણઆયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. વિપુલ અગરવાલે તેમની મુલાકાત દરમિયાન દાનહ ખાતેની નમો મેડિકલ કોલેજની મુલાકાત દરમ્યાન પ્રદેશના આરોગ્ય સચિવ, સંયુક્ત આરોગ્ય સચિવ/મિશન નિર્દેશક, તબીબી શિક્ષણના સી.ઈ.ઓ., મેડિકલ કોલેજના ડીન, પ્રોફેસર સહિત રાજ્ય કાર્યક્રમ અધિકારીઓની પણ મુલાકાત કરી હતી અને જરૂરી દિશા-નિર્દેશ તથા સૂચનાઓ આપી હતી અને પ્રશ્નો પણ સાંભળ્યા હતા.
કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના સચિવ ડૉ. વિપુલ અગરવાલે પ્રદેશમાં ‘આયુષ્યમાન ભવઃ’ના દરેક ઘટકો અંતર્ગત અત્યાર સુધીની ઉપલબ્ધિઓની જાણકારી મેળવી હતી. તેમાં તેમને માહિતી આપવામાં હતી કે, સંઘપ્રદેશમાં ‘આયુષ્યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત અત્યાર સુધી વિવિધ જગ્યા પર આયોજીત આરોગ્ય મેળામાં 22000થી વધુ લોકોએ આરોગ્ય સેવાનો લાભ લીધો હોવાની માહિતી આપવામાં હતી. સમગ્ર સપ્તાહ દરમ્યાન વિવિધ સ્થળોએ આયોજીત રક્તદાન શિબિરો દ્વારા 1021 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે. કાર્યક્રમોથી પ્રસન્ન થઈ સંઘપ્રદેશમાં ચાલી રહેલ ‘આયુષ્યમાન ભવઃ’ અભિયાનની સફળતા માટે કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના સચિવ ડૉ. વિપુલ અગરવાલે સરાહના કરી હતી.
તેમણે મેડીકલ કોલેજની મુલાકાત બાદ હેલ્થ અને વેલનેસ સેન્ટર દ્વારા પ્રદાન કરવામાંઆવી રહેલ સેવાઓની ચકાસણી માટે ટીમ સાથે સાયલી આરોગ્ય અને વેલનેસ સેન્ટરની મુલાકાત લીધી હતી. ઉપરાંત તેમણે સરકારી માધ્યમિક શાળા ટોકરખાડાની પણ મુલાકાત લીધી હતી.
અત્રે યાદ રહે કે, ‘આયુષ્યમાન ભવઃ’ એક વ્યાપક અભિયાન છે- જેમાં ‘આયુષ્માન આપકે દ્વાર 3.0′ જેનો ઉદ્દેશ્ય દરેક લાભથી વંચિત રહેલા તમામ લાભાર્થીઓને ‘આયુષ્યમાન કાર્ડ’ બનાવી તેનું વિતરણ કરવું, આયુષ્યમાન મેળો જેના એક ભાગ રૂપે આયુષ્યમાન ભારત આરોગ્ય અને વેલનેસ સેન્ટરો અને સીએચસી સ્તરે સાપ્તાહિક આરોગ્ય મેળાઓ આયોજિત કરવામાં આવી રહ્યા છે અને આયુષ્યમાન સભા જેના અંતર્ગત વિવિધ આરોગ્ય દેખભાળ યોજનાઓ અને સેવાઓ અંગે જાગૃતિ વધારવા માટે 02 ઓક્ટોબરના રજ ગામડા/વોર્ડ સ્તરે આયુષ્યમાન સભા આયોજીત કરવામાં આવશે. જેનાથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આરોગ્ય વીમા યોજનાના મહત્વ અને દરેક આરોગ્ય માપદંડો અંગે સ્ક્રીનિંગ પર ધ્યાન આપવા સાથે આયુષ્યમાન ભારત આરોગ્ય ખાતા ખોલવા અંગે જાગૃતિ પણ વધશે.