સંગઠનના હોદ્દેદારોના દબાણવશ નીતિ નિયમો નેવે મૂકી અધ્યક્ષોની વરણી કરવામાં આવી હોવાનો ગણગણાટ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.09: તાલુકા પંચાયતની તા.5/10/23 ના રોજ યોજાયેલ સામાન્ય સભાના મુખ્ય એજન્ડા કારોબારી અને ન્યાય સમિતિની રચના કરવાના હતા. અને તે મુજબ બન્ને સમિતિની રચના કરી દેવામાં આવી હતી. પરંતુ સાથે જ ટીડીઓની હાજરીમાં કારોબારી અને ન્યાય સમિતિના અધ્યક્ષોની દરખાસ્ત અને ટેકો આપવાની પ્રક્રિયા કરી બન્ને અધ્યક્ષોની વરણી કરી દેવામાં આવી હતી અને બંને અધ્યક્ષોએ પોતાની ચેમ્બરમાં ખુરશી સંભાળતાની સાથે હારતોરા પણ કરી દેવામાં આવ્યા હતા.
સામાન્ય સભામાં અધ્યક્ષોની વરણી સમયે ઉપસ્થિત ટીડીઓ, વિસ્તરણ અધિકારી, નાયબ ટીડીઓ સહિતનાઓએ પણ મૌન સેવી લીધું હતું. અને નિતિનિયમ વિરુધ્ધની પ્રક્રિયા સામે આંખ આડા કાન કરી ધૃતરાષ્ટ્ની ભૂમિકા ભજવી હોય તેવું ફલિત થવા પામ્યું છે.
ત્યારે અધ્યક્ષોની વરણી માટે સંગઠનના હોદ્દેદારોની આટલી ઉતાવળ કેમ હતી કે પછી ધાર્યું પર ન પડવાનો ડર સતાવતો હતો. તેવા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.જોકે આ રીતે હવાઈ થઈ એકહથ્થુ શાસન કરવાની સંગઠનના હોદ્દેદારોની નીતિરિતીથી પક્ષની ધોર ખોદાશે તેવી ચર્ચાએ પણ ભાજપ વર્તુળમાં જોર પકડ્યું છે.
જોકે નીતિ નિયમ વિરૂધ્ધના કારભારમાં પક્ષની ધોર ખોડાઈ તેવી સ્થિતિમાં ધારાસભ્ય અને જિલ્લા સંગઠનના હોદ્દેદારો દરમ્યાનગીરી કરશે કે પછી તેઓ દ્વારા જ આ રીતની છૂટ આપી તેમના જ છુપા આશીર્વાદ છે કે કેમ તે તો તપાસનો વિષય છે. પરંતુ હાલે આ મુદ્દો ચર્ચાસ્પદ બનવા પામ્યો છે.
ચીખલી તાલુકા પંચાયતમાં મહત્વની એવી કારોબારી અને ન્યાય સમિતિના સભ્ય પદે પણ વિદાય લીધેલ પ્રમુખ કલ્પનાબેનનો સમાવેશ કરાયો નથી. ત્યારે ગત વિધાનસભાની ચૂંટણીમાં ગણદેવી બેઠક પરથી દાવેદારી અંગેની અદાવત રાખી પ્રમુખપદે રહી ચૂકેલા વહીવટનો અનુભવ ધરાવતા હોવા છતાં પણ કલ્પનાબેનને સમિતિમાંથી બાકાત રાખવાની નીતિરિતીના ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યાં છે.
ટીડીઓ ચેતનભાઈ દેસાઈના જણાવ્યાનુસાર સામાન્ય સભામાં સમિતિની રચના થઈ હતી. નિયમ પ્રમાણે 7-દિવસ બાદ સમિતિની બેઠક યોજાતી હોય છે. એટલે 16-તારીખે સમિતિની મિટિંગ છે. એમ સભ્યો નક્કી કરશે, કોણ અધ્યક્ષ બનશે તે એ લોકોએ અંદરો અંદર અન ઓફિશયલી કોને અધ્યક્ષ બનાવવાના તે નક્કી કરી લીધું હશે. પરંતુઓફિશયલી 16-તારીખે અધ્યક્ષો જાહેર થશે.