દાનહની 20 ગ્રામ પંચાયતોના કળશની માટી એક કળશમાં ભેગી કરી કળશને સામરવરણી ગ્રામ પંચાયતથી નિકળેલી કળશયાત્રાઃ ટોકરખાડા ખાતે સેલવાસ નગરપાલિકાએ કરેલુંઅભિવાદન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ દાનહ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી ડૉ. અપૂર્વ શર્માના દિશા-નિર્દેશ અંતર્ગત ‘મેરી માટી, મેરા દેશ’ના ઉપક્રમે સામરવરણી ગ્રામ પંચાયતથી માટી ભરેલ કળશયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ટોકરખાડા ખાતે સેલવાસ ન.પા.ના અધ્યક્ષ શ્રીમતી રજની શેટ્ટી, ચીફ ઓફિસર શ્રી સંગ્રામ સિંઘ શિંદે અને ન.પા.ના કાઉન્સિલરોએ કળશયાત્રાનું સ્વાગત કર્યું હતું.
પ્રારંભમાં દાદરા નગર હવેલી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં 1લી સપ્ટેમ્બર, 2023થી 30 સપ્ટેમ્બર, 2023 સુધી તમામ ગામો અને વોર્ડમાંથી માટી ભેગી કરી કળશમાં નાંખવામાં આવી હતી અને આ માટી ભરેલા કળશોને આજે સવારે 10:30 કલાકે વાજતે ગાજતે સામરવરણી ગ્રામ પંચાયત ખાતે લાવવામાં આવ્યા હતા અને 20 ગ્રામ પંચાયતોના કળશની માટીને એક કળશમાં નાંખી સામરવરણી ગ્રામ પંચાયતથી ટોકરખાડા સુધી માટી કળશયાત્રા કાઢવામાં આવી હતી.
આ પ્રસંગે દાનહ જિ.પં.ના પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડા, ઉપ પ્રમુખ શ્રીમતી વંદનાબેન હરેન્દ્ર પટેલ, મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્મા, વિકાસ અને આયોજન અધિકારી શ્રી મિતેશ પાઠક, ગ્રામ પંચાયતોના સરપંચો,જિ.પં. સભ્યો સહિત જિલ્લા પંચાયતના અધિકારી-કર્મચારી ગણ પણ ઉપસ્થિત રહ્યા હતા.
માટી કળશ યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો અને નારાથી આજુબાજુનું વાતાવરણ પણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
માટી કળશ યાત્રા વાજતે ગાજતે સામરવરણી ગ્રામ પંચાયતની ટોકરખાડા પહોંચતાં ત્યાં ઉપસ્થિતોએ અભિવાદન કર્યા બાદ સેલવાસ નગરપાલિકા વિસ્તારની એકત્ર કરેલ માટીને પણ આ કળશમાં ઉમેરવામાં આવી હતી. ત્યારબાદ હવે દાદરા નગર હવેલી જિલ્લાની ગ્રામ્ય અને શહેરની માટીને 27 ઓક્ટોબર, 2023 સુધી નવી દિલ્હી ખાતે રવાના કરવા વિદાય સમારંભનું આયોજન કરાશે. 1લી નવેમ્બર, 2023 સુધી માટી ભરેલા કળશને દિલ્હી ખાતે યોજાનારા રાષ્ટ્રીય કાર્યક્રમમાં સામેલ કરવા મોકલવામાં આવશે.