નાની દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં આયોજીત સમારંભમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ઉપર સ્વચ્છતા પ્રહરી એપ તથા જિંગલનું પણ વિમોચન કરાશે
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા પ્રદેશના નાગરિકોને ઘન કચરાની વ્યવસ્થા અને પ્રબંધન ઉપર પ્રેરિત કરવા થઈ રહેલી પહેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.22
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા સોમવાર તા. 24મી જાન્યુઆરીથી પ્રદેશમાં સ્વચ્છતા સંકલ્પ સાથે ‘સ્વચ્છતા અભિયાન : આદતો કો બદલને કા આંદોલન’નો જયઘોષ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા કરાવવામાં આવશે.
છેલ્લા પાંચ વર્ષમાં સંઘપ્રદેશ પ્રશાસનની ઈચ્છાશક્તિ અને પ્રજા પ્રતિનિધિઓના સહયોગથી દાદરા નગર હવેલી અને દમણ-દીવના દરેક વિસ્તારો સ્વચ્છ અને ચોખ્ખા ચણાક થઈ ચૂક્યા છે. હવે સંઘપ્રદેશ પ્રશાસન પ્રદેશના નાગરિકોને ઘન કચરાની વ્યવસ્થા અને પ્રબંધન ઉપર પ્રેરિત કરી રહ્યું છે. જેની કડીમાં સુકા અને ભીના કચરાને અલગ તારવીઆપવામાં આવેલ કચરાના બોક્ષમાં નાંખી તેને સફાઈકર્મીને આપવાની વ્યવસ્થા હવે કાર્યરત થઈ રહી છે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશ પ્રશાસન દાદરા નગર હવેલી અને દમણ-દીવને કચરાપેટી મુક્ત બનાવી ઘરમાં નિકળતા કચરાના પ્રબંધન માટેની પણ વ્યવસ્થા ગોઠવી છે.
24મી જાન્યુઆરીના સોમવારે સ્વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા સ્વચ્છતા સંકલ્પ લેવડાવવામાં આવશે. આ સમારંભનો પ્રારંભ ગણેશ વંદનાથી કરાશે. ત્યારબાદ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પંચાયત સચિવ દ્વારા સ્વાગત વક્તવ્ય આપવામાં આવશે. બાલભવન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ઉપર એક વીડિયો જારી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિંગલનું પણ વિમોચન કરાશે.
સ્વચ્છાગ્રહીઓને ટી-શર્ટ અને કેપ, લાભાર્થીઓને ડસ્ટબીન તથા આઈસ બોક્ષનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ઉપર સ્વચ્છતા પ્રહરી એપનું વિમોચન પણ કરાશે. સંઘપ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા પુરસ્કાર વિતરણ બાદ તેમનું અભિભાષણ પણ સાંભળવા મળશે. ત્યારબાદ પંચાયતી રાજ વિભાગના વિશેષ સચિવ દ્વારા આભાર વિધિ અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરાશે.