(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.09: ચીખલીમાં કચ્છી સમાજની વાડીમાં ભાજપના શક્તિ કેન્દ્રના સંયોજકો, પ્રભારીઓ, પ્રવાસી કાર્યકરોની જિલ્લા ભાજપના મહામંત્રી ડોક્ટર અશ્વિનભાઈ પટેલ, જીગ્નેશભાઈ નાયક, તાલુકા ભાજપના પ્રમુખ મયંકભાઈ પટેલ, ખેરગામ તાલુકા ભાજપના મહામંત્રી લીતેશભાઈ ગાવિત, એપીએમસીના પૂર્વ ચેરમેન કિશોરભાઈ પટેલ, કિસાન મોરચાના આઈટી સેલના સહ સંયોજક દીપકભાઈ સોલંકી, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો સહિતનાની ઉપસ્થિતિમાં ગાવ ચલો અભિયાન અંતર્ગત યોજાયેલ બેઠકમાં નવસારી લોકસભા બેઠકના ભાજપના પ્રભારી અશોકભાઈ ધોરાજીયાએ ઉપસ્થિતોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે જેમને જવાબદારી સોંપવામાં આવી છે તે દરેક પ્રવાસી કાર્યકરોએ સંયોજકો સાથે તેમને સોંપવામાં આવેલ બુથ પર જઈ ભાજપ સરકારની વિકાસલક્ષી અને વ્યક્તિગત લાભની યોજનાઓથી લોકોને વાકેફ કરી બુથ લેવલે સંગઠનાત્મક કામગીરીની પણ જરૂરી સમીક્ષા કરવા સાથે આગામી લોકસભાની ચૂંટણીમાં એક બુથ માઇનસ ન રહે તે માટે હમણાંથી જ કવાયત હાથ ધરવા અનુરોધ કર્યોહતો.
ભાજપના મહામંત્રી ડોક્ટર અશ્વિનભાઈ પટેલે પણ 24 કલાક વીજળી 108 ની સુવિધા ગંભીર રોગોમાં દસ લાખ રૂપિયા સુધીની સારવાર માટે આયુષ્યમાન કાર્ડ, કિસાન સન્માન નિધિ, વિનામૂલ્ય અનાજ જેવી અનેક યોજનાઓથી તમામ વર્ગની ભાજપ સરકારે ચિંતા કરી છે. સાથે રસ્તા પાણી આરોગ્ય શિક્ષણ ક્ષેત્રે પણ કરોડો રૂપિયાના કામો આપણા વિસ્તારમાં થયા છે અને વિકાસના કામોનો પ્રવાહ નિરંતર ચાલુ છે જેને લઈને માળખાકીય સુવિધાઓમાં અનેકગણો વધારો થયો છે. આ બધી બાબતોથી લોકોને અવગત કરી તમામ બુથો પર આપણા ભાજપ પક્ષની સરસાઈ વધુને વધુ રહે તે માટે તેમણે હાંકલ કરી હતી.
આગામી ત્રણ દિવસોમાં ભાજપના પ્રવાસી કાર્યકરો ગામડાઓ ખૂંદી દરેક બુથોનો પ્રવાસ કરવાની કવાયત હાથ ધરી હતી.