જિલ્લાના ૧૦૦૫ એકમો સાથે રાજ્ય સરકારે રૂ.૧૧૯૬ કરોડના એમ.ઓ.યુ. કર્યા, ૧૧૨૦૦ વ્યક્તિઓને રોજગારી મળશે
ચૂંટાયેલા પ્રતિનિધિ અને અધિકારીઓ વચ્ચે સુદઢ સંકલન થકી વલસાડ જિલ્લો ઉદ્યોગો માટે બેસ્ટ ડેસ્ટિનેશન બન્યો છેઃ નાણામંત્રી કનુભાઈ દેસાઈ
બે દાયકા પહેલા વડાપ્રધાનશ્રીએ વાવેલું ‘વાઈબ્રન્ટ ગુજરાત’નું બીજ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છેઃ મંત્રી મુકેશભાઈ પટેલ
વિવિધ યોજનાઓના ૫ લાભાર્થીને લોન સહાયના રૂ.૩૪,૩૩,૨૨૨ ના ચેકો અને ૩ લાભાર્થીને રૂ. ૪.૫૯ કરોડના ટર્મલોનના મંજૂરી પત્ર અને ચેક એનાયત કરાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સફળતાપૂર્વક બે દાયકા પૂર્ણ થતાં તેના ભાગરૂપે તેમજ આગામી ‘વાઈબ્રન્ટ ગુજરાત-૨૦૨૪’ની પ્રિ-ઈવેન્ટ અંતર્ગત વલસાડ જિલ્લાના વાપી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ભવન ખાતે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત,વાઈબ્રન્ટ વલસાડ’ સમિટ યોજાઈ હતી. જેમાં જિલ્લાના ૧૦૦૫ ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ.૧૧૯૬ કરોડના એમ.ઓ.યુ. કર્યા હતા, જેનાથી અંદાજે ૧૧૨૦૦ વ્યક્તિઓને રોજગારી મળશે.
આ પ્રસંગે નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ગુજરાતનો વિકાસ કેવી રીતે કરવો એ માટે આપણા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેક યોજનાઓ બનાવી રોજગારી અને લોકોની આવક વધારવા માટે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં વર્ષ ૨૦૦૩માં સૌપ્રથમ વાર વાયબ્રન્ટની શરૂઆત કરી હતી. એકદમ નાના પાયા શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાતની પહેલ આજે વિશાળ વટવૃક્ષ સમાન બનતા ગુજરાત દસમો વાઇબ્રન્ટ કરવા જઈ રહ્યું છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની હકારાત્મક ઉદ્યોગ નીતિના કારણે નવા નવા ઉદ્યોગો ગુજરાતમાં સાકાર થઈ રહ્યા હોવાનું મંત્રીશ્રીએ જણાવી વધુમાં કહ્યું કે, જ્યાં શાંતિ હોય ત્યાં આર્થિક પ્રવૃત્તિ પણ વેગ પકડે છે. વિશ્વમાં ભારતનું અર્થતંત્ર પાંચમા ક્રમે ઈંગ્લેન્ડ કરતા પણ આગળ છે અને વર્ષ ૨૦૨૭માં ભારત ત્રીજા ક્રમે હશે તેની ગેરંટી પણ વડાપ્રધાનશ્રીએ આપી છે. જે માટે તમામ ઉદ્યોગપતિઓ સહભાગી થઈ રહ્યા છે.
દેશના વિકાસમાં ગુજરાતના યોગદાન વિશે મંત્રીશ્રીએ કહ્યું કે, આખા ભારતમાંથી જે ઈમ્પોર્ટ- એક્સપોર્ટ થાય છે એના લગભગ ૩૮% ગુજરાતમાંથી થાય છે. ગુજરાતમાં ઉદ્યોગો દ્વારા ૧૮ ટકા પ્રોડક્શન થાય છે. આવી રીતે અનેકવિધ યોજનાઓ થકી ગુજરાત વિકાસક્ષેત્રે ભારતનું ગ્રોથ એન્જિન બન્યું છે. સમગ્ર દેશમાં જોઈએ તો ઔદ્યોગિક ક્ષેત્રે આપણું ગુજરાત સૌથી શ્રેષ્ઠ છે અને એટલા માટે જ દરેક દેશના અને વિદેશના ઉદ્યોગો આપણા ગુજરાતમાં આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં વલસાડ જિલ્લો બેસ્ટ ડેસ્ટિનેશન છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જિલ્લા વહીવટી તંત્ર વચ્ચે સુદઢ સંકલન અને હકારાત્મક અભિગમ છે. વિકસિત રાષ્ટ્ર અને સ્વચ્છ ભારત નિર્માણની અપીલ કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, વર્ષ ૨૦૪૭માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે તેમાં આપણે સૌ ભાગીદાર થઈ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવાનું છે. સાથે જ સ્વચ્છ ભારતના નિર્માણમાં પણ ફાળો આપવાનો છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ રાજ્ય સરકાર સાથે એમઓયુ કરનાર તમામ ઉદ્યોગકારોને અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, ‘વાઈબ્રન્ટ સમિટ’ ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે રહેલી અપાર સંભાવનાઓને ઉજાગર કરવાનું આગવું માધ્યમ બની છે. ગુજરાતમાં નવા ઉદ્યોગો વિકસે, નવી ટેકનોલોજી અને રોજગારની નવી તકો ઉભી થાય એવા વિઝન સાથે બે દાયકા પહેલાં વડાપ્રધાનશ્રીએ વાઈબ્રન્ટપ સમિટનો વિચાર આપ્યો હતો. ઉદ્યોગકારોને કારણે વાપીનો વિકાસ થયો છે. બિઝનેસની સાથે તેઓ લોક સેવામાં પણ યોગદાન આપી રહ્યા છે. ગુજરાતે સમગ્ર દેશને રાહ ચીંધી છે. રાજ્ય સરકારની હકારાત્મક નીતિઓના કારણે રોકાણકારો અહીં ઉદ્યોગો સ્થાપવા આકર્ષાઈ રહ્યા છે.
વાપી ગુજરાતનું ગ્રોથ એન્જિન કહેવાય છે. ઉદ્યોગો આવવાના કારણે લોકોના જીવન ધોરણમાં પણ પરિવર્તન આવ્યું હોવાનું જણાવી તેમણે પોલ્યુશન ઘટાડવા માટે ઉદ્યોગકારોને દરિયા કાંઠે મેન્ગ્રુવ્ઝ રોપવા માટે સરકાર જમીન આપશે એવી પણ ખાતરી આપી હતી.
વલસાડ-ડાંગના સંસદ સભ્ય ડો.કે.સી.પટેલે વલસાડ જિલ્લાની વાપી જીઆઈડીસી એશિયાની મોટી જીઆઈડીસી હોવાનું જણાવી કહ્યુ કે, ઉદ્યોગોના કારણે હજારો આદિવાસી ભાઈઓ-બહેનોને રોજગારી મળી રહી છે. સરકારની હકારાત્મક પોલીસીને કારણે જિલ્લામાં વાપી, ઉમરગામ, સરીગામ, પારડી અને ગુંદલાવ જીઆઈડીસીની પ્રગતિ થઈ રહી છે. વધુમાં તેમણે ગુજરાત અને દેશના વિકાસ માટે નરેન્દ્રભાઈ અને ભુપેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા આહવાન કર્યુ હતું.
ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે જિલ્લાના વિકાસમાં યોગદાન આપનાર ઉદ્યોગકારોને બિરદાવી કહ્યું કે, ઉદ્યોગો આવવાથી રોજગારી મળતી થઈ અને ગામડા વધુ મજબૂત બન્યા છે. વર્ષ ૧૯૯૫માં ગુજરાતનું બજેટ ૧૦૩૩૮ કરોડનું હતું જે અત્યારે રૂ. ૩ લાખ કરોડનું થયુ છે.
સમિટમાં વાજપાઈ બેન્કેબલ યોજના, MSME અને સ્ટાર્ટઅપ લોન સહાય, અને નવા યુનિટ શરૂ કરવા માટે સહાય જેવી વિવિધ યોજનાઓના પાંચ લાભાર્થીઓને લોન સહાયના રૂ. ૩૪,૩૩,૨૨૨ ના ચેકો અને ત્રણ લાભાર્થીઓને રૂ. ૪.૫૯ કરોડના ટર્મલોનના મંજૂરી પત્ર અને ચેક મંત્રીશ્રીઓના હસ્તે એનાયત કરાયા હતા.
વાયબ્રન્ટ ગુજરાત-૨૦૨૪ની પ્રિ-ઈવેન્ટ સમાન આ સમિટમાં નિષ્ણાત વક્તાઓએ ઉદ્યમ રજિસ્ટ્રેશન, સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ, MSME, આત્મનિર્ભર ગુજરાત સ્કીમ-૨૦૨૨, ગુજરાત ટેક્ષટાઈલ પોલિસી-૨૦૧૯, ZED સર્ટિફિકેટ પ્રક્રિયા, વિવિધ ઈન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી સ્કીમ, બેન્કિંગ અને ફાયનાન્સ, PM માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝીસ (PMFME) સ્કીમ, ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ, જેમ અને જ્વેલરી ક્ષેત્રમાં રહેલી તકોની જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત, મધ્યમ અને નાના ઉદ્યોગકારો તેમજ રોકાણકારોને પેનલ ડિસ્કશન, સ્ટાર્ટઅપ, નેટવર્કીંગ સેશન, બીટુબી અને બીટુસી મિટીંગ દ્વારા માર્ગદશન આપ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ, વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, જીઆઈડીસીના એક્ઝિક્યુટીવ ડાયરેકટર બી.ડી.દવેરા, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એમ.કે.લાદાણીએ કર્યુ હતુ, વાપીના વિકાસની ગાથા વીઆઈએના પ્રમુખ સતિષભાઈ પટેલે રજૂ કરી હતી. આભારવિધિ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઉદ્યોગ અધિકારી વાય.ટી.પાવાગઢીએ કરી હતી.