આદિજાતી કમિશ્નરને રજૂઆત કરી પરંતુ વ્યર્થ પરિણામ શુન્ય : ન્યાય નહી મળે તો તા.1મેથી ભુખ હડતાલની વિદ્યાર્થીઓની ચિમકી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27: ધરમપુરમાં કાર્યરત શ્રી વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આશરે 700 જેટલા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ જમા મળી નથી તેથી છેલ્લા 15-20 દિવસથી વિદ્યાર્થીઓ સ્કોલરશીપ માટે આંદોલન ચલાવી રહ્યા છે. આજે ગુરૂવારે વિદ્યાર્થીઓ તેમજ માંગણી માટે કોલેજ પરિસરમાં ધરણા ઉપર બેઠા હતા.
વનરાજ કોલેજના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ જમા થઈ નથી તેથી ગત તા.10-04-23ના રોજ વિદ્યાર્થીઓએ આદિજાતી કમિશ્નરશ્રીને પણ આ મુદ્દે રજૂઆત કરી હતી પરંતુ તે વાતને 15 થી 20 દિવસ વિતી ગયા છતાં વિદ્યાર્થીઓને ન્યાય મળ્યો નથી. પરિણામ શુન્ય રહ્યું છે તેથી આજરોજ કોલેજ પરિસરમાં વિદ્યાર્થીઓ પોતાનીમાંગણી માટે ધરણા ઉપર બેસીને પ્રદર્શન કર્યું હતું તેમજ આ બાબતે ધરમપુર પ્રાંતમાં લેખિત જાણ કરીને જણાવ્યું છે કે, દિન ત્રણમાં કોઈ પરિણામ નહી આવે તો આગામી તા.01મેથી ધરમપુર મામલતદાર કચેરી સામે ભુખ હડતાલ પર બેસી જઈશું તેવી ગર્ભિત ચીમકી પણ વિદ્યાર્થીઓએ ઉચ્ચારી છે. વિદ્યાર્થીઓના આ આંદોલનને તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલએ ટેકો જાહેર કરીને સામુહિક અપીલ કરી છે કે વિદ્યાર્થીઓના હિતમાં આગળ આવવા જણાવ્યું છે.