(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.12: ચોમાસાના અંતિમ તબક્કામાં નહિવત વરસાદને પગલે ખાસ કરીને પાછળથી ડાંગરની રોપણી કરનારા ખેડૂતોની પાક નિષ્ફળ જવાની ભીતિએ ચિંતા વધવા પામી હતી. ચીખલી અને ગણદેવી તાલુકામાં ચોમાસુ ડાંગરનો પાક મોટાપાયે ખેડૂતો કરતા હોય છે. અને છોડ પર કંઠી બેસી ગયા બાદ જરૂરિયાત ના સમયેપાણી ન મળે તો પાક નિષ્ફળ પણ જતો હોય છે. આ ઉપરાંત હળદળ, કંદ, સુરણ તથા અન્ય શાકભાજીનું પણ ઉત્પાદન ખેડૂતો કરતા હોય છે. તેવામાં વરસાદ ખેંચાતા અને ચોમાસાની વિદાય જણાતા પાક નિષ્ફળ જાય તો આખી સિઝનમાં ખાતર, બિયારણ, મજૂરી દવા પાછળનો ખર્ચ ખેડૂતોને માથે પડવા સાથે આર્થિક ફટકો લાગતો હોય છે.
જોકે આ પ્રકારની સ્થિતિમાં ચીખલીમાં સિંચાઈ વિભાગના અંબિકા સબ ડિવિઝનના તાબામાં આવતી ચીખલી તેજલાવ ડિસ્ટ્રીબ્યુટરી અને તેની શાખા નહેરોમાં તા.06/10/23ના રોજ થી પાણી છોડવામાં આવતા ડાંગર સહિતના ખેતી પાકોને પાણી મળતા અને પાકોને જીવંતદાન મળતા ખેડૂતોને મોટી રાહત થવા પામી છે. ચીખલી અને ગણદેવી વિસ્તારમાં હાલે પૂરતા દબાણ સાથે પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, જેને લઈને ખેડૂતો દ્વારા અંબિકા સબ ડિવિઝનના અધિકારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.