ગુજરાતના સોનુ સુદ ગણાતા ખજુરભાઈએ ગરીબોને અત્યાર સુધી
263 મકાન બનાવી આપ્યા છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: જાણીતા યુટયુબ કલાકાર નિતિન જાની ઉર્ફે ખજુરભાઈએ વલસાડ વાસીઓના દિલ જીતી લીધા છે. ગુજરાતના સોનુ સુદ ગણાતા ખજુરભાઈએ અત્યાર સુધીમાં ગરીબો-બેહાલો માટે 263 મકાન બનાવી ચૂક્યાછે.
નિતિન જાની ઉર્ફે ખજુરભાઈને સોશિયલ મીડિયા થકી જાણવા મળેલ કે વલસાડ હનુમાન ભાગડાવાડા વિસ્તારમાં ઔરંગા નદીના કિનારે રહેતા ગુલીબેન રાઠોડ અને તેમની દિવ્યાંગ દિકરી છેલ્લા 15 વર્ષથી કાચા મકાનમાં રહે છે. ચોમાસામાં ઔરંગા નદીના પુરમાં રાઠોડ પરિવાર ભારે યાતના વેઠતો હોય છે તેવી જાણ ખજુરભાઈને થતા તેઓ વલસાડ દોડી આવીને ગુલીબેન અને તેમની દિવ્યાંગ દિકરીને મળ્યા હતા. તેમના માટે તાત્કાલિક દિન સાતમાં પાકું મકાન બનાવી આપવાની જવાબદારી ઉપાડી લીધી. તેમની ટીમ દ્વારા સ્થળ ઉપર શ્રમદાન કરી પાકુ મકાન બનાવી આપવાની કામગીરી આરંભી પણ દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ગત ઉનાળામાં કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં કેટલાક ગામોમાં ગરીબોની પાણીની સમસ્યા નિવારવા પ્લાસ્ટીકની ટાંકીઓ ટ્રકમાં ભરી પહોંચી ગયા હતા અને પાણીની સમસ્યાનું નિવારણ કર્યું હતું. ખજુરભાઈની સમાજ સેવાની યાદી ઘણી વિસ્તૃત છે, તે હંમેશા ગરીબોના બેલી રહ્યા છે.