-
મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલે દમણવાડા પંચાયતના વિવિધ વિકાસકામો અને પ્રવૃત્તિઓની કરેલી સરાહનાઃ ઢોલરિયા તળાવના રસ્તા ઉપર ગટરના ઢાંકણા મુકવા તથા લાભાર્થીઓના શૌચાલયના સમારકામ માટે સંબંધિત તંત્રને પણ કરેલી તાત્કાલિક તાકિદ
-
દમણવાડા ગ્રામ પંચાયતે લાયબ્રેરી ભવનના ઉદ્ઘાટન સમયે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપવા બદલ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ગ્રામસભામાં કરાયેલું ઋણ સ્વીકાર
-
બાકી રહેલા ત્રણ વર્ષના કાર્યકાળમાં દમણવાડા ગ્રામ પંચાયતની સૂરત અને શકલ બદલવાનો સરપંચ મુકેશ ગોસાવીએ પ્રગટ કરેલો વિશ્વાસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.08: આજે ભારત સરકારના ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન-2023-24 અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયતની મળેલી ગ્રામ સભામાં વિવિધ મુદ્દાઓ ઉપર રચનાત્મક ચર્ચા થયા બાદ પ્લાનને સર્વાનુમતેથી પસાર કરવામાં આવ્યો હતો.
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીના અધ્યક્ષસ્થાને યોજાયેલ ગ્રામ સભામાં મુખ્ય અતિથિ તરીકે દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી નવિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી નવિનભાઈ પટેલે દમણવાડાપંચાયત દ્વારા થઈ રહેલા વિવિધ વિકાસના કાર્યોની સરાહના કરી હતી. તેમણે પંચાયત દ્વારા નિર્મિત લાયબ્રેરીનો વધુમાં વધુ ઉપયોગ કરવા પણ ગામ લોકોને હાકલ કરી હતી.
શ્રી નવિનભાઈ પટેલે દમણવાડા ગ્રામ પંચાયતને ગુટખા, તંબાકુ મુક્ત રાખવા શરૂ કરેલા અભિયાનની પણ પ્રશંસા કરી હતી. તેમણે યુવાનોને આ બદીમાંથી બહાર આવવા પણ શિખામણ આપી હતી. શ્રી નવિનભાઈ પટેલે ઢોલરીયા તળાવ ખાતે જવાના રસ્તા ઉપર ઢાંકણા લગાવવા પણ સંબંધિત તંત્રને નિર્દેશ આપ્યો હતો. તેમણે લાભાર્થીઓને બનાવી આપવામાં આવેલ ટોઈલેટના સમારકામ માટે પણ તંત્રને સૂચના આપી હતી.
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશથી દમણના લગભગ તમામ રસ્તાઓનું કામ શરૂ થઈ જશે. તેમણે એક ગ્રામવાસીને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, બારીયાવાડથી ભાઠૈયા સુધીના રસ્તાનું અટકેલું કામ પણ આવતા પંદરેક દિવસમાં શરૂ થઈ જશે એવી ખાત્રી આપી હતી. તેમણે રસ્તાના નિર્માણમાં જો કોઈ અવરોધ આવતો હોય તો તે દુર કરવા પણ ગ્રામજનોને માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ લાયબ્રેરી ભવનના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલાપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર પ્રસ્તાવ રજૂ કરી તેમનો ઋણ સ્વીકાર કર્યો હતો. તેમણે લાયબ્રેરી ભવનના ઉદ્ઘાટન દરમિયાન માર્ગદર્શન અને સહયોગ આપવા બદલ દમણ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન અને બીડીઓ શ્રી પ્રેમજીભાઈ મકવાણાનો જાહેરમાં આભાર પ્રગટ કરતો પ્રસ્તાવ પસાર કર્યો હતો.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રીના આશીર્વાદ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની કઠોર મહેનતથી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શિક્ષણના અનેક દ્વારો ખુલ્યા છે. તેનો વધુમાં વધુ લાભ લેવા દમણવાડાના ગ્રામજનોને હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દમણવાડા પંચાયતે છેલ્લા બે વર્ષમાં વિકાસના અનેક કામો અને વિવિધ કાર્યક્રમો કર્યા છે. જેમાં દમણવાડા પંચાયતના લોકોના મળેલા સાથ અને સહકાર બદલ આભાર પણ પ્રગટ કર્યો હતો અને જણાવ્યું હતું કે, આ તો ફક્ત ટ્રેઈલર છે હજુ ફિલ્મ બાકી છે. જે આવતા ત્રણ વર્ષમાં દમણવાડાની બદલાયેલી સૂરત અને શકલ ઉપરથી જોઈ શકાશે.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જિલ્લા પંચાયતની બાંધકામ શાખાના આસિસ્ટન્ટ એન્જિનિયર શ્રી સંદિપભાઈ તંબોલીએ દમણવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં થનારા વિવિધ કામોની પણ જાણકારી આપી હતી.
પ્રારંભમાંદમણ જિલ્લા પંચાયતના દમણવાડા વિભાગના જિ.પં. સભ્ય શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલે સ્વાગત વક્તવ્ય આપ્યું હતું.
આ કાર્યક્રમમાં બેંક તથા કૃષિ વિભાગના અધિકારીઓએ પોતાની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મનિષ સ્માર્તે કર્યું હતું.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી મિલન પટેલ, સભ્ય શ્રી વિષ્ણુ બાબુ, પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, સલાહકાર સમિતિના સભ્ય શ્રી કિશોરભાઈ દમણિયા, શ્રી વાસુભાઈ પટેલ, શ્રી અનિલભાઈ દમણિયા, શ્રી નરોત્તમભાઈ પટેલ સહિત ગામના અનેક આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર ગ્રામ સભાને સફળ બનાવવામાં પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મિટનાના નેતૃત્વમાં શ્રી વિપુલ રાઠોડ, શ્રી રોહિત ગોહિલ, શ્રી હિતેન બારી, શ્રી સુલેખ દમણિયા તથા પંચાયતની ટીમનો મહત્વનો ફાળો રહ્યો હતો.