સમાજ કલ્યાણ વિભાગના નિયામક મનોજકુમાર પાંડેએ ‘‘બાળ લગ્ન મુક્ત સંઘપ્રદેશ” અભિયાન હેઠળ પ્રોફેસરો, મુખ્ય શિક્ષકો, શિક્ષકો, ગ્રામ પંચાયતના સરપંચો, વોર્ડ સભ્યો, જિ.પં. સભ્યો, આંગણવાડી કાર્યકર બહેનોને લેવડાવેલા શપથ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ અને સમાજ કલ્યાણ વિભાગના સચિવ શ્રી ફરમાન બ્રહ્માના માર્ગદર્શન હેઠળ અને વિભાગના નિયામક શ્રી મનોજકુમાર પાંડેના નેતૃત્વ હેઠળ ‘‘બાળ લગ્ન મુક્ત સંઘપ્રદેશ” અભિયાન અંતર્ગત કેન્દ્ર શાસિત પ્રદેશના તમામ જિલ્લાઓના બાળ લગ્ન નિષેધઅધિકારીઓની આગેવાની હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન તમામ પંચાયતો, શાળાઓ, કાર્યાલયોમાં જન જાગૃતિ રેલી, મશાલ રેલી અને શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દમણના શિક્ષણ ભવન ખાતે વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજ કલ્યાણ વિભાગના નિયામક દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી, શિક્ષણ વિભાગના પ્રાધ્યાપકો, મુખ્ય શિક્ષકો, શિક્ષકો અને સમાજ કલ્યાણ વિભાગના કર્મચારીઓને ‘‘બાળ વિવાહ મુક્ત સંઘપ્રદેશ અભિયાન” અંતર્ગત શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમાજ કલ્યાણ વિભાગના નિયામક શ્રી મનોજકુમાર પાંડેએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આપણે એકજૂથ થઈને ‘‘બાળ લગ્ન મુક્ત સંઘપ્રદેશ” અભિયાનમાં તમારો સહયોગ આપવા પડશે અને આ પરિવર્તનની શરૂઆત આપણા ગામથી થવી જોઈએ. આ સંદેશ દરેક વ્યક્તિ સુધી પહોંચવો જોઈએ અને ખાસ કરીને તેમણે કહ્યું કે, બાળ લગ્નથી બાળકો તેમના ઉજ્જવળ ભવિષ્યથી વંચિત રહે છે અને આ કુરિવાજોથી બાળકો કુપોષણનો શિકાર બને છે. જો તમે તમારા સમુદાય અથવા પડોશમાં બાળ લગ્નો થતા જુઓ છો અથવા તેની માહિતી મેળવો છો, તો તમે તરત જ જિલ્લા બાળ લગ્ન નિષેધ અધિકારી(મામલતદાર)ને તેની જાણ કરી શકો છો જેથી આપણે સાથે મળીને બાળ લગ્ન અટકાવી શકીએ.
એ જ ક્રમમાં, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં ‘‘બાળ લગ્ન મુક્ત સંઘપ્રદેશ અભિયાન” અંતર્ગત શપથ ગ્રહણ અને જનજાગૃતિ રેલી, મશાલ રેલીમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમને સફળ બનાવવામાં સમાજ કલ્યાણ વિભાગ અને શિક્ષણ વિભાગ, બાળ સુરક્ષા સમિતિ અને જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમનો મહત્વનો ફાળો રહ્યો હતો.