(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: સેલવાસની લાયન્સ ઈંગ્લીશ સ્કૂલમાં નવરાત્રીના દિવસોમાં માઁ દુર્ગાના નવ રૂપોની પૂજા-અર્ચના અને આરતી કરવામાં આવી હતી. આજે નવમા દિવસે નવદુર્ગા યજ્ઞનું વિધિવિધાન સાથે આયોજન કરવામાં આવ્યું હતું. માઁ શારદાના મંદિરમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે આરતી અને નવદુર્ગા યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં શાળાની સુખ-શાંતિ અને પ્રદેશની સમૃદ્ધિની કામના કરવામાં આવી હતી. ત્યારબાદ માઁ શારદાના નવ રૂપોના અવતારના રૂપે નવ કન્યાનું પૂજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે શાળાના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, દેવી પૂજા ફક્ત માતાની પ્રતિમાની પૂજા નથી, પરંતુ આ પર્વ મા, બહેન, બેટી અને સમાજની દરેક નારીના સન્માનનું પર્વ છે. એવામાં ફક્ત કન્યા પૂજન જ નહિ, મહિલાઓનું પણ સન્માન કરવું. વર્તમાન સમયમાં આ પાવન અવસર પર માઁ દુર્ગાના નવ રૂપોમાં વિરાજમાન આપણી નારી શક્તિનું સદૈવ માન સન્માન થવું જોઈએ, સાથે તેમણે દશેરા પર્વ નિમિત્તે શ્રી રામચંદ્રજીના આગમનની સાથે અસત્ય પર સત્યની વિજયના પ્રતીક વિજયાદશમીની દરેકને શુભકામના પાઠવી હતી.
આ અવસરે શાળાના વાઇસ ચેરમેન શ્રી અનંતરાવ નિકમ, સચિવ શ્રી એ. નારાયણન, કોષાધ્યક્ષ શ્રી વિશ્વેશ દવે, સંયુક્ત સચિવ શ્રી જયેન્દ્રસિંહ રાઠોડ અને કાર્યકારિણી સભ્યો સહિત શાળા-કોલેજના આચાર્યો, શિક્ષકો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.