(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.01: વિશ્વ વિખ્યાત સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના મંદિરના 175 વર્ષ પૂર્ણ થતાં આગામી 16 થી 22 નવેમ્બર સુધી ભવ્ય શતામૃત મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે. આ ઉત્સવ પહેલા દાદાના આશીર્વાદ સૌ લોકોને ઘર બેઠા મળી રહે સાથે સાથે આ શતામૃત મહોત્સવનું આમંત્રણ પણ ભક્તોને મળી રહે ના શુભ આશયથી શતામૃત મહોત્સવ સાળંગપુર ધામનો આમંત્રણ રથ સમગ્ર ગુજરાતમાં ફરી રહ્યો છે. જેનું ઠેર ઠેર સ્વાગત કરવામાંઆવી રહ્યું છે.
આજરોજ બુધવાર તા.1.11.2023 ના રોજ આ રથનું પારડી શહેરમાં આગમન થતાં પારડી વાસીઓ દ્વારા કષ્ટભંજન દેવ હનુમાનજીના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે સવારથી આ રથની બિનવાડાથી શરૂઆત થઈ હતી અને અતુલ બાદ પારડી શહેરમાં આવી પહોંચ્યો હતો. હનુમાનજીના ભજન-ધૂન સાથે આવેલા રથનું પારડી વલ્લભ આશ્રમ, સ્વાધ્યાય મંડળ, તેમજ પારડી ચાર રસ્તા ખાતે આવતા ભક્તોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો.
આ રથના દર્શનનો લાભ પ્રમુખ રાજેશ પટેલ, યુવા પ્રમુખ જયસિંગ ભરવાડ, અજિત ભંડારી, રાજન ભટ્ટ, હરીશ પટેલ, અશોક પ્રજાપતિ, ધર્મેશ મોદી, નિલેષ ભંડારી સહિતના અગ્રણીઓએ પણ લઈ રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું, તેમજ દાદાની પૂજા અર્ચના કર્યા બાદ આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ આ રથ પલસાણા, રેટલાવ, સલવાવ જવા નીકળ્યો હતો.
પારડીમાં પ્રથમ વખત સાળંગપુરના કષ્ટભજન હનુમાનજી મહારાજના રથના આગમનને લઈ ભક્તિનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો.