(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ,તા.03 : પાવરગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ‘સતર્કતા એજ જાગરૂકતા સપ્તાહ- 2023’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેની કડીમાં આજે શુક્રવારે દમણની સરકારી પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓ માટે ‘‘ભ્રષ્ટાચારનો વિરોધ કરો; રાષ્ટ્રને સમર્પિત થાઓ” વિષય પર વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કિશન મિશ્રા, પીયુષ કુમાર અને પૂજા ભીસે વિજેતા થયા હતા. સ્પર્ધાના મુખ્ય નિર્ણાયકો તરીકે પાવર ગ્રિડના ચીફ મેનેજર શ્રી રાજેશ જાંગીતિ અને ઈજનેર શ્રદ્ધા દાલમિયા હતા.
આ પ્રસંગે પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલશ્રીએ વિદ્યાર્થીઓને ભ્રષ્ટાચાર સામે મજબૂત લડત આપવા પ્રેરણા આપી હતી. આ ઉપરાંત વરિષ્ઠ ડેપ્યુટી જનરલ મેનેજર શ્રીમતી મરિયમ્મા થોમસે પણ તેમના વક્તવ્યમાં દરેકને પ્રમાણિકતાથી કામ કરવા પ્રેરણા આપી હતી.
દરમિયાન પાવર ગ્રિડ મગરવાડના ચીફ મેનેજર શ્રી રાજેશ જાંગીતિએ કોલેજના પ્રાધ્યાપકો, સ્ટાફ અને વિદ્યાર્થીઓ તથા પાવર ગ્રિડના અન્ય કર્મચારીઓને પ્રામાણિકતાના શપથ લેવડાવ્યા હતા. આ અવસરે સુશ્રી બન્યા બેનર્જી, શ્રી કમલેશ ચૌધરી અને પાવર ગ્રીડના અન્ય અધિકારીઓ સહિત કોલેજ સ્ટાફ હાજર રહ્યો હતો.