બંને અરજદારોએ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં રાજ્ય સરકારશ્રી અને કલેકટરશ્રીનો આભાર વ્યક્ત કર્યો: બંધ સ્ટ્રીટ લાઈટ અને વીજ પોલ ખસેડવાનો પ્રશ્ન પાલિકા અને વીજ કંપની દ્વારા ઉકેલવામાં આવ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24: વલસાડ જિલ્લા સ્વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમ પ્રજા માટે ઉપયોગી સાબિત થઈ રહ્યો છે જેના બે દૃષ્ટાંત નવેમ્બર માસના સ્વાગત કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. જેની વિગત જોઈએ તો, વલસાડના હાલર ક્રોસ પાસે અમિત હોસ્પિટલ પાસે રહેતા સૈફુદ્દીન શબ્બીર વ્હોરાએ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત તા. 3 નવેમ્બર 2023ના રોજ રજૂઆત કરી હતી કે, છેલ્લા 6 થી 8 મહિનાથી સાલીન એપાર્ટમેન્ટ પાસે સ્ટ્રીટ લાઈટ બંધ છે.વારંવાર રજૂઆત કરવા છતાં વલસાડ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી. જે અરજી સ્વાગત કાર્યક્રમમાં સ્વીકારી પાલિકાના ચીફ ઓફિસરને મોકલવામાં આવી હતી. જેથી સીઓએ સ્થળ પર ટીમને રવાના કરી સ્ટ્રીટ લાઈટ રીપેર કરી આપી હતી. સ્વાગત કાર્યક્રમમાં હાજર રહેલા અરજદારે પોતાની ફરિયાદનો સ્વાગત કાર્યક્રમમાં સુખદ નિરાકરણ આવતા કલેકટરશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. બીજા એક કેસની વિગત જોઈએ તો, વલસાડના હાલર વશી ફળિયા ખાતે રહેતા સંજયકુમાર છોટુભાઈ વશીએ વીજ કંપની દ્વારા મુકવામાં આવેલો વીજ પોલ ખસેડવા અંગે તા. 9 નવેમ્બર 2023ના રોજ સ્વાગત કાર્યક્રમ હેઠળ રજૂઆત કરી હતી. જે અંગે જરૂરી કાર્યવાહી કરવા માટે અરજી વીજ કંપનીના વલસાડ શહેરના કાર્યપાલક ઈજનેરને મોકલવામાં આવી હતી. તેમના દ્વારા અરજદારના નિવાસ સ્થાને ટીમ રવાના કરાતા તાત્કાલિક અસરથી વીજ પોલ ખસેડવામાં આવ્યો હતો. તા.23 નવેમ્બર-2023ના રોજ કલેકટર કચેરીમાં યોજાયેલા જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અરજદારે પોતાની ફરિયાદનો હકારાત્મક અને સુખદ નિકાલ કરવામાં આવ્યો હોવાથી રાજ્ય સરકારશ્રી અને જિલ્લા કલેકટરશ્રીનો આભાર માન્યો હતો. આમ, ખરા અર્થમાં સ્વાગત કાર્યક્રમ પ્રજાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવનાર સાબિત થઈરહ્યો છે.