જીતુભાઈ ચૌધરી, ભરતભાઈ પટેલ અને અરવિંદભાઈ પટેલે કૃષિ મંત્રીને લેખિત રજૂઆત કરી વળતરની માંગ કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: વલસાડ જિલ્લામાં પાછલા કેટલાક દિવસથી વાતાવરણના પલટા સાથે કમોસમી વરસાદ પડયો છે. ગઈકાલે વઘઈ, સાપુતારામાં પણ વધુ વરસાદ પડયો હતો. હજુ પણ તા.19 માર્ચ સુધીવરસાદની આગાહી છે. આ કમોસમી વરસાદથી સૌથી વધારે ખરાબ આડઅસર થઈ હોય તો કેરી પાકને થઈ છે. પ્રથમ રાઉન્ડમાં આવેલ વાવાઝોડા સાથેના વરસાદે કેરી પાકની તબાહી કરી દીધી. કાચી કેરી, મોર અને મંજરી જમીનદોસ્ત થઈ ચૂકી હતી. તેથી વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં કેરી પાકનું કમોસમી વરસાદથી નુકશાન થયું હોવાથી ત્રણ ધારાસભ્યોએ કૃષિમંત્રીને લેખિત પત્ર લખીને કેરી પાકના નુકશાન પેટે ખેડૂતોને વળતર આપવાની માંગણી કરી છે.
વલસાડ જિલ્લામાં ખેતીનો મુખ્ય પાક કેરી છે. કમોસમી વરસાદથી ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. પાક તૈયાર થવાના છેલ્લા તબક્કામાં જ કુદરત રૂઠી અને કમોસમી વરસાદ આવી પડયો હતો. આ વર્ષે કમોસમી વરસાદને લઈ કેરીનો પાક માત્ર 40 ટકા જ બચ્યો છે તેથી ખેડૂતોને ભારે નુકશાન પડી ચુક્યું છે. ખેડૂતને પાયમાલ થતો બચાવવા વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલએ સંયુક્ત રીતે કૃષિ મંત્રીને પત્ર લખીને માંગણી કરી છે કે જિલ્લાના ખેડૂતોને કેરીના પાકને થયેલ પારાવાર નુકશાનને લઈ યોગ્ય વળતર આપવું જોઈએ તેવી ધારાસભ્યોએ માંગણી કરી છે.