(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ ), તા.24: વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા માટે લોકોમાં જાગૃતિ કેળવવા અનેકવિધિ કાર્યક્રમો કરવા છતાં લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. થાલામાં ચીખલી-વાંસદા રાજ્ય ધોરીમાર્ગ ઉપર સર્કિટ હાઉસની સામેની વિસ્તારમાં લોકો દ્વારા અવાર નવાર કચરો ફેંકી જઈ જાહેરમાં ગંદકી ફેલાવવામાં આવી રહી હતી. થાલા અને ખૂંધ ગ્રામ પંચાયતના વાહન કચરા માટે ફરતા હોવા છતા લોકો દ્વારા જાહેરમાં કચરો ફેંકી જવાતા આ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું હતું. સર્કિટ હાઉસ પણ નજીક હોય તેવા સંજોગોમાં સર્કિટ હાઉસમાં અધિકારીઓ, પદાધિકારીઓનું પણ અવાગમન થતું રહેતું હોય છે.
ગ્રામ પંચાયત દ્વાર અહીં વારંવાર સાફ સફાઈ કરી કચરો ખસેડી લેવામાં આવતો હોવા છતાં સાફ સફાઈના ગણતરીના કલાકોમાં જ હમ નહિ સુધરેગે વાતને સાર્થક કરનારાઓ ફરી કચરો ફેંકી જતા ગંદકીની યથાવત સ્થિતિ થઈ જતા ગ્રામ પંચાયત માટે પણ જાહેરમાં આ રીતે ગંદકી ફેલાવાતા માથાનો દુખાવો બની જવા પામ્યો હતો.
આમ ગંદકી ફેલાવનારાઓથી વાજ આવી જઈ ગ્રામ પંચાયત દ્વારા આ સ્થળ પર ગંદકી ફેલાવનારાઓસામે વોચ રાખવા કેમેરો લગાવી આ સીસીટીવી કેમેરાની નજર હેઠળ છો અહીં કચરો ફેકનાર કે ગંદકી ફેલાવનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે જેની ગંભીર નોંધ લેશો તેવી સૂચના સાથેનું બોર્ડ લગાવાયું છે.
સામાન્ય પણે ચોરી જેવા ગુનાઓ રોકવા ગુનાઓ ઉકેલવા માટે ખાસ કરીને સીસીટીવી કેમેરા લગાવાતા હોય છે. પરંતુ થાલા ગ્રામ પંચાયતને તો ગંદકી ફેલાવનારાઓ ઉપર નજર રાખવા કેમેરા લગાવવાની ફરજ પડી છે.