(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: દાદરા નગર હવેલી ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત જિલ્લા દિવ્યાંગ પુનર્વાસ કેન્દ્રમાં વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેલવાસ આરડીસી ચાર્મી પારેખના માર્ગદર્શનમાં જાગૃકતા અને વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. જેમાં બાળકો દિવ્યાંગ ના થાય એની જલ્દી ઓળખ અનેનિદાન થઈ શકે એની જાણકારી આપવામાં આવી હતી. શાળાના દિવ્યાંગ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ નૃત્ય અને નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. સરકાર તરફથી દિવ્યાંગોને મળતી સુવિધા, સાધન સહાય વેગરેની સહાય જરૂરિયાતમંદ સુધી પહોંચાડી હતી. દિવ્યાંગજનો પણ સમાજના મુખ્યધારા સાથે ભળે અને આર્થિક અને સામાજિક સ્તરે આગળ વધે આ માટે સંસ્થા દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. દિવ્યાંગજનો પણ દરેક ક્ષેત્રે આગળ વધે એ દિશામાં માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. સમારંભના મુખ્ય અતિથિ એજ્યુકેશન ઓફિસર અનિલ ભોયા અને સ્ટરલાઈટ કોપરના સત્યનારાયણ મૂર્તિ દ્વારા દિવ્યાંગ ભાઈ-બહેનોને આશીર્વાદ અને પ્રોત્સાહન આપ્યું હતું અને જણાવેલ કે આપણે દિવ્યાંગોને આપણા જેવા જ માની સમાજના મુખ્યધારામાં સામેલ થવાનો અવસર આપો. રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનર્વાસ કેન્દ્ર અને રેડક્રોસ શાળાના કર્મચારીઓ અને શિક્ષકોએ સમારોહને સફળ બનાવવા યોગદાન આપ્યું હતું. દિવ્યાંગ ભાઈ-બહેનોને આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવા માટે રેડક્રોસ સોસાયટી સંપૂર્ણ પ્રયાસ કરે છે. આ અવસરે આઈઆરસીએસડીડીઆરસી સુપ્રિટેન્ડન્ટ ડો. જયોતિર્મયી સુર, શિક્ષણ અધિકારી અનિલભાઈ ભોયા, સ્ટર્લિંગ કોપર વેદાંતા કંપનીના સત્યનારાયણ મુર્તિ, શાળાના કર્મચારીઓ સહિતવિદ્યાર્થીઓ, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.